તો જન્માષ્ટમીએ રાત્રે ૧૨ વાગ્યે ઢોર ડબ્બો તોડશું : રણજીત મુંધવા
પવિત્ર શ્રાવણ માસમાં ગાયો નહી પકડવાના નિયમનો ઉલાળ્યો કરતી મહાનગર પાલિકા : ગાયોને મુકત કરવવા વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવતા કોંગ્રેસ સેવાદળના અગ્રણી અને માલધારી આગેવાનો
રાજકોટઃ પવિત્ર શ્રાવણ મહીનામાં ગાયો નહી પકડવાનાં નિયમોનો મનપના નિયમોનો ઉલાળીયો કરી અને હાલમાં શ્રાવણ મહીનામાં પણ ગાયો પકડવાનું ચાલુ રાખતાં કોંગ્રેસ સેવાદળના હોદેદાર રણજીત મુંધવા અને માલધારી આગેવાનો ભીખાભાઇ પડસારયા તથા કરણ ગમારાએ ગાયોને ઢોર ડબ્બામાંથી મુકત કરવામાં નહીં આવેતો આગામી જન્માષ્ટમીની રાત્રે ૧૨ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની સાથે જ ઢોર ડબ્બો તોડીને ગાયોને કેદમાંથી મુકત કરાશે. એવી ચિમકી ઉચ્ચારી છે.
આ અંગે ઉકત ત્રણે'ય આગેવાનોએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી જણાવ્યું હતુ કે, સમગ્ર વિશ્વ માં જન્માષ્ટમી ના પાવન પર્વનું વિશેષ મહત્વ છે,જન્માષ્ટમી ના પાવન પર્વ ની દરેક કૃષ્ણ પ્રેમી ભકતો હર્ષ અને ઉલ્લાસભેર ઉજવણી કરે છે, હિન્દુ ધર્મ માં જન્માષ્ટમીના પાવન પર્વનું અનેરું મહત્ત્વ છે, ત્યારે કૃષ્ણ પરમાત્માને અતિ પ્રિય એવી ગાય માતાને રાજય ના દરેક કોર્પોરેશનના ઢોર ડબ્બામાં ગોંધી રાખવી યોગ્ય ન ગણી શકાય,તેના કારણે કરોડો ગૌ-પ્રેમીઓની લાગણી દુભાય છે,ગાય માતા હંમેશા હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે, ગાય માતામાં દેવતાનો વાસ માનવામાં આવે છે, ત્યારે આવા ગૌ-વંશ ને જન્માષ્ટમીના પાવન પર્વે ઢોર ડબ્બા માંથી મુકત કરાવી કરોડો હિન્દુઓની લાગણીને માન આપશો, દરેક જન્માષ્ટમીના પાવન પર્વની જેમ આ જન્માષ્ટમી એ પણ કોર્પોરેશન દ્વારા રાજયના ઢોર ડબ્બામાં રહેલ ગૌ-વંશ ને મુકત કરવામાં આવે તેવી વિનંતી છે.
આ પત્ર પાઠવીને જો જન્માષ્ટમીએ ગાયો નહી છોડાય તો ઢોર ડબ્બો તોડવામાં આવશે તેવી ચીમકી આ ત્રણે'ય આગેવાનોએ ઉચ્ચારી છે.