રૈયામાં શિલ્પન નોવા સાઇટ પર ૧૧મા માળેથી પટકાતાં બિહારી યુવાનનું મોત
સૈયદઆલમ શેખ લાઇટ બંધ કરતી વખતે અકસ્માતે પટકાયોઃ મજૂરોમાં શોક
રાજકોટ તા. ૭: રૈયા ગામમાં નવા બની રહેલા શિલ્પન નોવા નામના બિલ્ડીંગની સાઇટ પર મોડી રાતે અગિયારમા માળેથી પટકાતાં બિહારના મુસ્લિમ યુવાનનું મોત નિપજ્યું છે.
જાણવા મળ્યા મુજબ મુળ બિહારનો સૈયદ સગીરભાઇઆલમ શેખ (ઉ.વ.૨૨) અગિયારમા માળે લિફટ નજીક લગાડાયેલી લાઇટ બંધ કરવા માટે ગયો ત્યારે બેલેન્સ ગુમાવતાં અકસ્માતે લિફટ નજીકના ખાલી ગાળામાંથી નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં સાથી મજુરોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડાએ જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. કૃપાલસિંહ અને પ્રદિપભાઇ કોટડ સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક છ ભાઇ અને ચાર બહેનમાં પાંચમો અને અપરિણીત હતો. બનાવથી સાથી કર્મચારીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી.