રાજકોટ
News of Monday, 7th September 2020

ગર્ભાશયના ઓપરેશન વખતે હૃદય બેસી જતા રાજકોટના નીશાબેન ચાવડાનું મૃત્યુ

રાજકોટ, તા. ૭ :  પોરબંદરમાં ગર્ભાશયના ઓપરેશન વખતે ગભરાઇ જવાના કારણે હૃદય બેસી જતા રાજકોટની મહિલાનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જાગનાથ પ્લોટ શેરી નં. ર૩ માં રહેતા નીશાબેન વિપુલભાઇ ચાવડા (ઉ.વ.૩૪) ને ગર્ભાશયનું ઓપરેશન કરાવવાનું હોઇ તેથી તે બે દિવસ પહેલા પોરબંદર માવતરના ઘરે ગયા હતા. ત્યાં ઓપરેશન વખતે તે ગભરાઇ જતા બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ રવીભાઇએ કાર્યવાહી કરી હતી.

મયુરનગરમાં યુવાનનું બેભાન હાલતમાં મોત

મયુનગર મેઇન રોડ પર એવન્યુ પાર્કમાં રહેતા યશવંતભાઇ વિઠોબાભાઇ માને (ઉ.વ.૪પ) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં  ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ બનાવ અંગે થોરાળા પોલીસ મથકના હેડ કોન્સ બી.આર. વાસાણી તથા રાઇટર નરેશભાઇ ચાવડાએ કાર્યવાહી કરી હતી.

છાતીમાં દુઃખાવો ઉપડતા વૃધ્ધનું મોત

કુવાડવા રોડ નવાગામ પાસે આવેલ સચ્ચા સોદા હોટલમાં રહેતા સવયસિંહ રૂમસિંહ રાજપૂત (ઉ.વ.૬૦) ગઇકાલે હોટલમાં હતા ત્યારે તે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ એન. આર. વાણીયા અને રાઇટર જયદીપભાઇએ કાર્યવાહી કરી હતી.

(3:18 pm IST)