દિલીપ ગાંધીની ચિરવિદાયથી ભાજપે કુશળ સંગઠક ગુમાવ્યા : પાડલિયા
રાજકોટ,તા.૭ : રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ પ્રો. મહેન્દ્રભાઈ પાડલિયા જણાવે છે કે ભાજપના છેલ્લા અઢી દાયકાથી સંગઠનમાં મહામંત્રી અને અન્ય જવાબદારી સુપરે નિભાવનાર અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને આરોગ્ય સમિતીના ચેરમેન દિલીપભાઈ ગાંધીનું આજરોજ ૬૪ વર્ષની વયે બીમારી દરમ્યાન હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયેલ છે. સ્વ. ગાંધી રાજકોટ જિલ્લા ભાજપ ના સંગઠનના મહત્વના સ્તંભ હતા. જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત /નગરપાલિકાની ચૂંટણીઓ હોય તેમાં ઉમેદવારની પસંદગી થી માંડી ઉમેદવાર ફોર્મ ભરાવવા, પાર્ટીના મેન્ડેટ ચુંટણી અધિકારીને સમય મર્યાદામાં પહોંચાડવા આ પ્રકારનું ચીવટ અને ચોકસાઈવાળું કાર્ય તેઓએ લાંબા સમય સુધી કરેલ હતું. અને રાષ્ટ્રીય સને પ્રદેશ કક્ષાએથી જે જે કાર્યક્રમો નિયત થાય હોય તેનું તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી નું સારું ફોલોઅપ તેઓ લેતા હતા.
સ્વ. ગાંધી સાથેના સંગઠનમાં કામ કરતા કરતાં આત્મીય સ્વજન જેવો મારો નાતો રહેલ હતો. અમોએ પાર્ટી દ્વારા જે જે જવાબદારી ઓ સોપાતી તે અમો સૌએ એક ટીમ તરીકે નિભાવેલ હતી અને સ્વ. ગાંધી અમારી ટીમના સૌથી મહત્વના સાથીદાર રહ્યા હતા. અને આવા સાથીદાર ના આકસ્મિક નિધનથી મેં એક સારા મિત્ર; સાથીદાર અને કુશળ સંગઠક ગુમાવ્યા છે. અને જિલ્લા ભાજપે એક કુશળ સંગઠક ગુમાવ્યા છે તેમ મહેન્દ્ર પાડલિયા જણાવે છે.