રાજકોટ
News of Monday, 7th September 2020

મ.ન.પા.ના દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે કોરોના અંગેનો ટેસ્ટ થશે

લક્ષણો જણાયે તુર્ત જ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના તપાસ કરાવો : કમિશનર ઉદિત અગ્રવાલની અપીલ

રાજકોટ : હાલ કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે મહાનગરપાલિકા પણ ખડે પડે કામગીરી કરી રહી છે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે જો કોઈપણ વ્યકિતને કોરોના વાઇરસ અંગેના કોઈપણ લક્ષણો જણાય તો તુર્ત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે અથવા આપના વિસ્તારમાં આવતા ધનવંતરી રથ પર જઈ પોતાનું હેલ્થ ચેક અપ કરાવી શકે છે. મહાનગરપાલિકા દ્વારા આ સેવા સંપૂર્ણ વિનામુલ્યે કરવામાં આવે છે, પ્રાથમિક સ્ટેજથી જ કોરોનાની સારવાર મળી રહે તેવા આશયથી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા શહેરીજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે.

મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધનવંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ સેવા રથ અને કોવિડ-૧૯ ટેસ્ટીંગ વ્હીકલ લોકોની સેવામાં કાર્યરત છે, તેમજ ૨૧ આરોગ્ય કેન્દ્ર પર પણ કોરોના વાઇરસ અંગેનું ચેકઅપ કરી આપવામાં આવે છે. શહેરના તમામ આરોગ્ય કેન્દ્રનો સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ અને સાંજે ૩.૩૦ થી ૬.૩૦ સુધીનો રહેશે.

મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા કોરોના વાઇરસ અંગેનો ટેસ્ટ વિનામુલ્યે કરવામાં આવે છે. કોરોનાને સંક્રમણ થતો અટકાવવા સૌ સાથે મળી સહયોગ આપીએ. મહાનગરપાલિકા દ્વારા આપના ઘર આંગણે આવી આપની સેવા કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક નાગરિક જાગૃત બને સરકારશ્રીના આદેશનું પાલન કરે અને જો શંકાસ્પદ લક્ષણો જણાય તો તુર્ત જ નજીકના મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.

(3:54 pm IST)