લવમેરેજ બાદ પરિવારે છૂટાછેડા કરાવી દેતા લાગી આવતા રવિ અને પૂનમે સજોડે જિંદગી ટૂંકાવી
કોઠારીયા પાસે કારખાનાની ઓરડીમાં બનાવ : પરિવારજનો ભેગા થવા નહિ દે તેમ સમજી દેવપૂજક દંપતિએ પગલુ ભર્યું
રાજકોટ, તા. ૭ : કોઠારીયા ગામ પાસે આવેલા ટાઇલ્સના કારખાનાની ઓરડીમાં લવમેરેજ બાદ પરિવારજનોએ છૂટાછેડા કરાવી દેતા લાગી આવતા રવિ હકુભાઇ મકવાણા અને પૂનમ ચંદુભાઇ વાઘેલાએ સજોડે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ પીરવાડી પાસે સીતારામ સોસાયટીમાં રહેતા રવિ હકુભાઇ મકવાણા (ઉ.વ.ર૬) અને સંતકબીર રોડ પર ગોકુલપરા પાસે કવાર્ટર પાસે રહેતી પૂનમ ચંદુભાઇ વાઘેલા (ઉ.વ.ર૩) બંનેએ કોઠારીયા ગામ પાસે આવેલ અંજલી ટાઇલ્સ નામના કારખાનાની ઓરડીમાં લોખંડની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. સવજીભાઇ બાલાસરા અને હરપાલભાઇ સોલંકીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક રવિ અને પૂનમે એક વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતાં. પ્રેમલગ્ન બાદ એક મહિના પહેલા બંનેના પરિવારજનોએ બંનેના છૂટાછેડા કરાવ્યા હતાં બાદ બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. ત્યારે ગઇકાલે રવિ અને પૂનમ પોતાના ઘરેથી નીકળી ગયા હતાં અને કોઠારીયા ગામ પાસે ટાઇલ્સના કારખાનાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ લીધો હતો.