આજે સાંજે અને કાલે તાજીયાના રૂટમાં ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે અમુક રસ્તા રહેશે બંધ
કયા કયા રસ્તાઓ બંધ રહેશે અને નો-પાર્કિંગ ઝોનમાં આવશે તે જાણી લો : પ્રતિબંધીત જાહેર થયેલા રસ્તા પરથી સાયકલ પણ પસાર નહિ થઇ શકેઃ પોલીસ કમિશનરનું જાહેરનામુ
રાજકોટ તા. ૮: મહોર્રમ પર્વ અંતર્ગત આજે ૮મીએ સાંજે તથા આવતીકાલે ૯મીએ શહરેના અલગ અલગ વિસ્તારમાંથી તાજીયા પસાર થવાના હોઇ તેના કારણે અને આજે શ્રાવણ માસનો સોમવાર હોઇ શ્રીરમાનાથ મહાદેવ મંદિરે પણ હજારો દર્શનાર્થીઓ આવતાં હોઇ મંદિરનો અને તાજીયા એક વાગ્યાથી પડમાં આવનાર હોઇ ટ્રાફિકની કોઇપણ સમસ્યા ઉભી ન થાય તે માટે થઇને શહેરના અમુક રસ્તાઓ દરેક પ્રકારના વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે. આજે સાંજે છથી આવતીકાલ સવારના છ સુધી તથા આવતીકાલ ૯મીના બપોરના ૧૨ થી રાતના ૧૨ સુધી અમુક રસ્તાઓ સાયકલ સહિતના તમામ વાહનોની અવર-જવર માટે બંધ રહેશે. આ માટે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ જાહેરનામુ બહાર પાડયું છે.
કયા રસ્તઓ બંધ રહેશે તેની યાદી આ મુજબ છે. (૧) સોરઠીયા વે બ્રીજથી જીલ્લા ગાર્ડન ચોકથી રામનાથપરા રોડથી રામનાથપરા ગરબી ચોકથી કોઠારીયા નાકા પોલીસ ચોકી સુધી તમામ વાહનો માટે પ્રવેશ બંધ તથ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવેલ છે. (ર) કોઠારીયા નાકા પોલીસ ચોકીથી પેલેસ રોડ થઈ ગુંદાવાડી પોલીસ ચોકથી કેનાલ રોડ જીલ્લા ગાર્ડન ચોક સુધી પ્રવેશ બંધ તથા નો પાર્કિગ જાહેર કરવામાં આવે છે. (૩) સોની બજાર રોડ કોઠારીયા પોલીસ ચોકીથી દરબારગઢ સુધી પ્રવેશ બંધ તથા નો-પાર્કિંગ જાહેર કરવમાં આવેલ છે. (૪) ગુજરી બજાર એ-વન હોટલ ચોકથી કોઠારીયા પોલીસ ચોકી સુધી પ્રવેશ બંધ તથા નો-પાર્કીંગ જાહેર કરવામાં આવે છે. (૫) ભુપેન્દ્ર રોડ દિવાનપરા પોલીસ ચોકીથી પેલેસ રોડને મળે ત્યાં સુધી ભુપેન્દ્ર રોડ કોર્નર સુધી પ્રવેશ બંધ તથા નો-પાર્કિંગ જાહેર કરવામાં આવે છે. (૬) ચુનારાવાડ બેઠા પુલના ખુણેથી રામનાથ પરા પોલીસ લાઈનના ઝાપા સુધી પ્રવેશ બંધ તથા નો-પાર્કિંગ જાહેર કરવામાં આવેલ છે.
આમ ઉપર મુજબના રસ્તાઓ તમામ પ્રકારના વાહનો (સાયકલ સહિત)ની અવર-જવર માટે પ્રતિબંધીત રહેશે. જેની તમામ શહેરીજનો, વાહનચાલકોએ નોંધ લેવા જણાવાયું છે.
એસીપીશ્રી ટ્રાફિક વી.આર. મલ્હોત્રાની રાહબરીમાં ટ્રાફિક બ્રાંચની ટીમો તથા જે તે પોલીસ સ્ટેશનની ટીમો બંદોબસ્ત જાળવશે. જાહેરનામાનો ભંગ કે ઉલંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે.