ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ દ્વારા કલેકટરનું જાહેર સન્માન કરાશે
લોકો લુંટાઇ નહીં તેવા ચુસ્ત આયોજન બદલ
રાજકોટ તા. ૮ : જન્માષ્ટમી લોકમેળામાં યાંત્રિક રાઇડ સંચાલકોએ બનાવેલી રીંગ સામે ઝુકયા વગર તગડો ભાવ વધારો કરવાને બદલે સામાન્ય વર્ગને પરવડે તેવા ભાવો નકિક કરવા કલેકટર અરૃણ મહેશબાબુએ દાખવેલ કાબીલેદાદ કામગીરી બદલ શહેર ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ દ્વારા તેઓનું જાહેર સન્માન કરવા આયોજન કરાયુ છે.
ગ્રાહક સુરક્ષા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એડવોકેટ મનોજ બી. કોટડીયાની યાદીમાં જણાવાયુ છે કે લોકમેળામાં બધા ભાવો કાબુમાં રાખવા અંગે અમે તા. ૧ ઓગષ્ટના આવેદનપત્ર આપેલ હતુ. જે સંદર્ભે પુરતુ ધ્યાન અપાયુ છે. મેળામાં ગ્રાહકો લુંટાય નહીં તેવુ સજજડ આયોજન કરવા બદલ લોકમેળા દરમિયાન ગ્રાહક બચાવો સ્ટોલ કેટેગરી-૧ ખાતે કલેકટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને અન્ય અધિકારીશ્રીઓનું શાલ ઓઢાડી સન્માન કરાશે. તેમ એડવોકેટ મનોજભાઇ કોટડીયા (મો.૯૮૨૪૨ ૮૨૧૬૨) ની યાદીમાં જણાવાયુ છે.