NFSA આધાર સીડીંગમાં સમગ્ર રાજકોટ જીલ્લામાં લોધીકા તાલુકો પ્રથમઃ ૯૧.૧૮ ટકા આધારકાર્ડ સીડીંગ
રાજકોટ, તા. ૮ :. રાજ્ય સરકારના અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા એન.એફ.સી.એ. લાભાર્થીઓના પરિવારના તમામ સભ્યોનું આધારકાર્ડ સાથે જોડાણ કરવાનું ફરજીયાત કરેલ છે. જેનો ઉદ્દેશ ખરા લાભાર્થીઓની ઓળખ નક્કી થાય અને રાહતદરના અનાજનો જથ્થો ગેરવલ્લે ન થાય તે છે અને ઓફલાઈન અનાજના જથ્થાનું વિતરણ સમાપ્ત કરવાનો લક્ષ્યાંક છે. રાજ્યભરમાં ૮૦ ટકા કરતા ઓછું આધાર સીડીંગ થાય હોય તેવી વાજબી ભાવની દુકાનો ઉપર ફોકસ કરવા અને આધાર સીડીંગ બાકી રહેલ હોય તેવા લાભાર્થીઓના આધારકાર્ડ મેળવી, એન્ટ્રી કરવા અને આધારકાર્ડ સીડીંગ બાકી રેશનકાર્ડ નોન એન.એફ.સી.એ. કરવા ઝુંબેશ ચાલી રહી છે.
રાજકોટ જિલ્લામાં તા. ૯-૯-૨૦૨૧ની સ્થિતિએ ૮૦ ટકા ઓછું આધાર સીડીંગ થયેલ વાજબી ભાવની દુકાનો કુલ ૧૨૪ હતી, જ્યારે તા. ૭-૧૦-૨૦૨૧ની સ્થિતિએ માત્ર ૬૭ વાજબી ભાવની દુકાનો બાકી રહે છે. જેમાં રાજકોટ જિલ્લામાં લોધીકા, ઝોનલ-૨, ઝોનલ-૧માં આવી ૧ - ૧ દુકાનો બાકી રહે છે. જ્યારે ધોરાજી તાલુકામાં સૌથી વધારે ૧૩ સસ્તા અનાજની દુકાનો બાકી રહે છે.
એન.એફ.એસ.એ. લાભાર્થીઓના તમામ સભ્યોનું આધારકાર્ડ સાથે જોડાણ આધાર સીડીંગનો લક્ષ્યાંક ૯૫ ટકા નિર્ધારીત થયેલ છે. રાજકોટ જિલ્લામાં લોધીકા તાલુકાની કુલ ૩૫૦૯૬ (એન.એફ.એસ.એ.) પોપ્યુલેશન સામે ૩૨૦૦૦ પોપ્યુલેશનનું આધાર સીડીંગ થયેલ છે. જેમાં ૯૧.૧૮ ટકાનું આધારકાર્ડ સીડીંગની કામગીરી કરી, અવ્વલ નંબર પર આવેલ છે. જ્યારે સૌથી ઓછી નબળી કામગીરી ઝોનલ-૪ : ૭૭.૬૯ ટકા રહેલ છે. એવરેજ કામગીરી વિંછીયા તાલુકા ૮૨.૧૮ ટકા, રાજકોટ તાલુકા ૮૭.૧૮ ટકા, ધોરાજી તાલુકા ૮૭.૯૧ ટકા રહેલ છે.
મામલતદાર કચેરી, લોધીકામાં સતત બે દિવસ મોડી રાત્રીના ૨.૦૦ વાગ્યા સુધી પુરવઠા સ્ટાફે કામગીરી કરતા, કર્મચારીઓની મહેનત રંગ લાવી અને જિલ્લા પુરવઠા અધિકારીએ અભિનંદન પાઠવ્યા હતા.