રાજકોટ
News of Wednesday, 9th September 2020

આજીવન ટકાવી વફાદારી-વિશ્વાસની આંધી, મૂલ્યોના માનવી બની રહ્યા દિલીપ ગાંધી

સ્વ. ગાંધી કાયારૂપે નહિ તો કાર્યરૂપે સદા ધબકતા-ઝબકતા રહેશેઃ વર્ષોના સાથી સાથેના સંભારણા વાગોળી શ્રધ્ધાસુમન અર્પણ કરતા લાલજીભાઇ સાવલિયા

રાજકોટ :  સ્વ. દિલીપભાઇ ગાંધી ૧૯૮પ થી ભાજપમાં કાર્યકર્તા તરીકે કામ કરતા હતાં. તે વખતના સૌરાષ્ટ્રમાં કામ કરતા સંગઠન મંત્રી સ્વ. ચકુભાઇ ડોડીયા સાથે અવાર-નવાર બેસી સંગઠનમાં કામ કરવા માટે માર્ગદર્શન લેતા ૧૯૮૯ માં પ્રથમ વખત સાંસદ તરીકે શ્રી શિવલાલભાઇ વેકરીયાના ઝળહળતાં વિજયથી સ્વ. દિલીપભાઇ ગાંધીને સંગઠનમાં કામ કરવાનો ઉત્સાહ અનેરો વધી ગયો હતો. ગુજરાતન માજી મુખ્યમંત્રીશ્રી કેશુભાઇ પટેલ અને સ્વ. ચિમનભાઇ શુકલને દિલીપભાઇ પોતાના આદર્શ માનતા હતાં.

૧૯૯પ માં જિલ્લા પંચાયતમાં પડધરીની બેઠક ઉપર ચૂંટાઇને આરોગ્ય સમિતિના ચેરમેન બન્યા હતાં. ર૦૦૦ માં આવેલ કચ્છના ભુકંપમાં સતત ૩ મહિના કચ્છમાં રોકાઇને પાર્ટીએ સોંપેલ કામ કરેલ હતું. ત્યારબાદ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે સતત ૪ ટર્મ કામ કરીને ભાજપના સંગઠનમાં પ્રસંશનીય કામગીરી કરેલ હતી.

સમગ્ર જિલ્લામાં નવા કાર્યકર્તાઓ જોડી તેમના ઘડતરમાં સ્વ. દિલીપભઇનો અમુલ્ય ફાળો રહ્યો છે. આજે જિલ્લા ભાજપનું ભવ્ય કાર્યાલય છે તે સ્વ. દિલીપભાઇની દિર્ધ દ્રષ્ટાનું પરિણામ છે. કાર્યાલયમાં આધુનિક ફર્નીચર તથા કોર્પોરેટ કક્ષાનું કાર્યાલય બનાવી આજે ભાજપના કાર્યકતાઓને કામ કરવાનો ઉત્સાહ વધારે છે. જિલ્લા ભાજપના કાર્યકતાઓને સંગઠનમાં કામ કરવા માટે કાયમ કોઇ પાસે લાંબો હાથ ન કરવો પડે  તેનું આગવુ અને કાયમી આયોજન સ્વ. દિલીપભાઇ ગાંધીએ કરેલ છે. લાગણી નીતરતી પારદર્શક કાર્ય પધ્ધતિ તેમની આગવી ઓળખ હતી.

મારા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી દરમ્યાન સ્વ. દિલીપભાઇ ગાંધી અને ભાનુભાઇ મેતા મારી ડાબી અને જમણી આંખ સમાન હતાં. સતત ભાજપના હિત સિવાય બીજા કોઇ જ વિચાર મનમાં ન હતો. ભાજપ પ્રત્યેની વફાદારીનું બીજુ નામ કહેવામાં આવે તો તે સ્વ. દિલીપભાઇ ગાંધી હતાં. સ્વ. દિલીપભાઇ ગાંધી, ખૂબજ ધીરજવાળા, ઠરેલ સ્વભાવના તથા દરેકને સાથે લઇ ચાલવા વાળા કાર્યકર્તા હતાં. મારા જીવનમાં, મારા ઘડતરમાં પણ દિલીપભાઇનો અમુલ્ય ફાળો રહ્યો છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ મને ફોન કરી આશ્વાસન આપી કહેલ હતું કે સ્વ. દિલીપભાઇ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીનો ચમકતો સિતારો હતા. તેમની ખોટ કયારેય પુરાશે નહીં.  દિલીપભાઇ ગાંધી કાર્યકતાઓને કાયમી યાદ રહેશે.

સ્વ. દિલીપભાઇ ગાંધીના બંને સુપુત્રો દિપેશભાઇ તથા શ્રી રૂષભભાઇ તથા તેમના  કુટુંબમાં આ આવી પડેલ દુઃખની ક્ષણોમાં ઇશ્વર તેમને શકિત આપે તેવી પ્રાર્થના.

- લાલજીભાઇ સાવલિયા

પૂર્વ  પ્રમુખ જિલ્લા ભાજપ-રાજકોટ

(11:45 am IST)