રાજકોટમાં બાળકોમાં કોરોના પ્રસર્યો
૧૪ દિવસથી ૧૨ વર્ષ સુધીના બાળકો સારવારમાં : બાળદર્દી વધતા ચિંતાનું મોજુ : ૧૨ બાળકો સારવાર હેઠળ, રિકવરી ધીમી
રાજકોટ તા. ૯ : શહેર - જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અત્યંત ગતિથી વધી રહ્યું છે ત્યારે હવે બાળકોમાં પણ કોરોના પ્રસરવા લાગતા ચિંતાનું મોજુ છવાયું છે.
આ અંગે આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ અત્યાર સુધી બાળકોમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ઓછું જોવા મળતું હતું પરંતુ હવે છેલ્લા એક અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં બાળ દર્દીઓનું પ્રમાણ વધવા લાગ્યું છે.
જાણવા મળ્યા મુજબ હાલ તુરંત ૧૪ દિવસના બાળકથી લઇ ૧૨ વર્ષ સુધીનાં બાળદર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. અંદાજે ૮ થી ૧૦ બાળદર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે.
નોંધનિય છે કે બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધવા લાગ્યું છે ત્યારે તંત્ર માટે આ નવી ચિંતા ઉભી થઇ છે. કેમકે કોરોનાથી બાળકોને વધુ જોખમ રહે છે ત્યારે અગાઉ અઠવાડિયે ૧૦ દિવસે માંડ બે-ત્રણ બાળકોના કોવિડ કેસ આવતા હતા. તેમાં એકાએક ઉછાળો જોવા મળ્યો છે અને હાલ ૧૦ જેટલા બાળકો સારવારમાં છે ત્યારે હવે વધુ બાળકો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે તંત્રએ ખાસ એકશન પ્લાન બનાવી બાળકોમાં કોરોના પ્રસરતો અટકાવવા ઘનિષ્ઠ પગલા લેવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવાનો વખત આવી ગયો છે.