મેઘરાજાના ખમૈયાઃ હવે રસ્તાના ખાડા પુરવાનું શરૂ કરોઃ બીનાબેન આચાર્ય
ત્રણેય ઝોનમાં દિવાળી પહેલા ડામર-પેવર પેચવર્ક-મેટલીંગ રસ્તા રીપેરીંગનો એકશન પ્લાન બનાવોઃ મેયરની મ્યુ. કમિશ્નરને સુચના
રાજકોટ તા. ૯ : શહેરમાં હવે વરસાદે વિરામ લીધો છે ત્યારે ખાડા અને ગાબડાથી જર્જરીત બનેલા રસ્તાઓનું રીપેરીંગ ત્થા રિકાર્પેટીંગની કામગીરી શરૂ કરાવવા મેયર બીનાબેન આચાર્યએ મ્યુ.કમિશ્નરને ઉદિત અગ્રવાલને પત્ર પાઠવી સુચના કયું છે.
આ અંગે મેયરશ્રી એ કમિશ્નરશ્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ચોમાસાની ઋતુ પૂર્ણ થવાને આરે છે તેમજ હાલમાં શહેરમાં ઘણા દિવસથી મેઘરાજાએ વિરામ લીધેલ છે જેથી ચોમાસા દરમ્યાન શહેરના જે-જે રસ્તાઓ પર ખાડાઓ પડેલ છે. તેવા તમામ રસ્તાઓ પર ત્રણેય ઝોનમાં પેચવર્કના કામો શરૂ કરવા તેમજ દિવાળીના તહેવારો પહેલા તમામ વોર્ડના એકશનપ્લાન તેમજ ટી.પી.રસ્તાઓ વિગેરે રી-કાર્પેટ અને નવા પેવરના કામો કરવા તમામ સબંધીત અધિકારીઓને સુચના આપી તુરંત ઘટિત કાર્યવાહી કરશો.
આમ આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો પહેલાજ શહેરના તુટેલા રસ્તાઓના રીપેરીંગની કામગીરી શરૂ કરાવી દેવા મેયરશ્રીએ મ્યુ.કમિશ્નરને તાકિદ કરી છે.