રાજકોટમાં કાલે કોરોના વેક્સિનેશન અભિયાન
જે સંસ્થા/સોસાયટી/ઉદ્યોગ/શૈક્ષણિક સંસ્થામાં ૨૫ કે તેથી વધુ લોકો વેક્સિન લ્યે તો મોબાઈલ વાન પણ મોકલાશે : ફોન કરવા મનપા તંત્રની અપીલ : રહેણાંક સોસાયટી માટે : ૯૭૧૪૫ ૦૩૭૪૪, શૈક્ષણિક સંસ્થા માટે : ૯૯૭૮૯ ૮૮૭૮૯, ટ્રસ્ટ/અન્ય સંસ્થા માટે : ૯૭૧૪૫ ૦૩૭૪૫
રાજકોટ: આવતીકાલે તા.૧૦નારોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન અભિયાન યોજાશે. આ અનુસંધાને આજે તા.૦૯ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ એક બેઠક યોજી હતી, જેમાં આવતીકાલે વધુ ને વધુ લોકો વેક્સીન લઈ લ્યે તે અંગે આયોજન કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ વેક્સીનેશનમાં બાકી રહેલા લોકોને આ વેક્સીનેશન અભિયાનમાં લાભ લેવા ખાસ અપીલ કરી છે. વેક્સિન લેવામાં સાવ બાકી હોય તેઓને આ અભિયાનમાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ અપાશે. જ્યારે પ્રથમ ડોઝ લઈ લીધો હોય અને ૮૪ દિવસ થઇ ગયાં હોય તેઓને બીજો ડોઝ આપવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્રો, દરેક મેઈન વોર્ડ ઓફિસ, બસ સ્ટેન્ડ, પી.ડી.યુ. હોસ્પિટલમાં તથા પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે વેક્સીનેશન સાઈટ રહેશે. ઉપરાંત સામાજિક સંસ્થાઓ, હાઉસિંગ સોસાયટી કોલેજો, સ્લમ એરિયા, ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે પણ વેક્સીનેશન થશે. જે સંસ્થા/સોસાયટી/ઉદ્યોગ/શૈક્ષણિક સંસ્થામાં ૨૫ કે તેથી વધુ લોકો વેક્સિન લેવા તૈયાર હોય તો મહાનગરપાલિકા દ્વારા મોબાઈલ વાન પણ મોકલવામાં આવશે. મોબાઈલ વાન મંગાવવા માટે રહેણાંક સોસાયટીઓએ ફોન નંબર ૯૭૧૪૫ ૦૩૭૪૪ ઉપર સંપર્ક કરવાનો રહેશે. જ્યારે શૈક્ષણિક સંસ્થાઓએ ફોન નંબર ૯૯૭૮૯ ૮૮૭૮૯ તથા ટ્રસ્ટ/અન્ય સંસ્થાઓએ ફોન નંબર ૯૭૧૪૫ ૦૩૭૪૫ ઉપર કોલ કરી જાણ કરવાની રહેશે.
આ અભિયાનમાં હાઉસિંગ સોસાયટીઓ, સ્લમ એરિયા, બાંધકામ સાઈટ્સ, હોકાર્સ ઝોન વગેરે સ્થળોને આવરી લેવામાં આવશે. મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરા દ્વારા આ મહાઅભિયાન અનુસંધાને ડેપ્યુટી કમિશનરશ્રીઓ, સિટી એન્જિનિયરશ્રીઓ, આસીસ્ટન્ટ કમિશનરશ્રીઓ, અન્ય વહીવટી અધિકારીશ્રીઓ, તબીબો વગેરેને જુદીજુદી જવાબદારીઓ સુપ્રત કરી દેવામાં આવેલ છે.
આવતીકાલે તા. ૧૦ને રવિવારે યોજાનાર આ વેક્સિનેશન અભિયાનમાં શહેરના વિવિધ સ્લમ્સ, બાંધકામ સાઈટ્સ, સામાજિક સંસ્થાઓ. રહેણાંક સોસાયટીઓ, ઉદ્યોગો, હોકર્સ ઝોન, શાક માર્કેટ, પ્રદ્યુમન પાર્ક ઝૂ, આજી અને ન્યારી ડેમ ખાતેના ગાર્ડન, તેમજ શહેરના અન્ય મોટા બગીચાઓ, સેન્ટ્રલ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, બીઆરટીએસનાં માધાપર ચોક અને ગોંડલ રોડ ચોક ખાતેનાં બસ સ્ટેન્ડ તથા ત્રિકોણ બાગ સહિતના સ્થળોને મોબાઈલ ટીમ દ્વારા આવરી લેવામાં આવનાર છે.
જે નાગરિકોએ કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હોય તેવા નાગરિકોને ૮૪ દિવસ થઇ ગયા હોય તેમને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. વેક્સિનના બંને ડોઝ લેવા ખુબજ જરૂરી છે. જેથી જે નાગરિકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે અને ૮૪ દિવસ થઇ ગયેલ છે તેવા તમામ નાગરિકોએ જરા પણ આળસ કર્યા વગર બીજો ડોઝ લઇ લેવા અપીલ કરવામાં આવેલ છે. સાથોસાથ કોવીશિલ્ડનો પ્રથમ ડોઝ પણ અપાશે.