લક્ષ્મીવાડીમાં ક્રિષ્નાબેન રાણીંગા પર તલવારથી હુમલો કરી પતિ પોલીસમાં હાજરઃ ગંભીર ઇજા
રાજકોટ તા. ૧૦: લક્ષ્મીવાડી શેરી નં. ૬માં આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતાં ક્રિષ્નાબેન કમલભાઇ રાણીંગા (ઉ.વ.૪૫) નામના સોની મહિલા પર બપોરે પતિ કમલ કરસનભાઇ રાણીંગાએ તલવારથી હુમલો કરી માથા-શરીરે ઘા ઝીંકી દેતાં તેમને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
ક્રિષ્નાબેનને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માથામાં ગંભીર ઇજા હોઇ તબિબોએ ત્વરીત સારવાર ચાલુ કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. ક્રિષ્નાબેનને હોસ્પિટલે લાવનારા લોકોના કહેવા મુજબ હુમલો કર્યા બાદ પતિ કમલભાઇ રાણીંગા સામેથી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયેલ છે. તેને માનસિક અસ્વસ્થતાને લીધે હુમલો કર્યાનું કહેવાય છે. જો કે ખરેખર કયા કારણે હુમલો થયો? તે અંગે ભક્તિનગરના પીએસઆઇ હાપલીયા અને ભરતભાઇ જોગીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
ક્રિષ્નાબેનને સંતાનમાં એક પુત્ર છે. પતિ કમલભાઇ રાણીંગા સોની કામની મજૂરી કરે છે. ક્રિષ્નાબેનને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર હેઠળ છે.