રાજકોટ
News of Thursday, 10th September 2020

રાજકોટના ડોકટરો માટે IMA દ્વારા રેડએલર્ટ જાહેર

રાજકોટમાં ૧૦૦થી વધુ ડોકટરોને કોરોનાએ ડંખ લગાવતા ઇન્ડિયન મેડિકલ એસોસીએશન રાજકોટ દ્વારા ચિંતા વ્યકત કરવામાં આવી : તમામ ડોકટર જોગ નિવેદન : સાવચેતીના તમામ પગલાઓ લ્યે : સ્ટાફને પણ સાવચેતી રાખવા જણાવે

રાજકોટ તા. ૧૦ : અમદાવાદ, વડોદરા અને સુરત બાદ હવે રાજકોટ કોરોના વાયરસનું મુખ્ય કેન્દ્ર એટલે કે હોટસ્પોટ બન્યું છે. રાજકોટમાં રોજેરોજ કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંક પણ ચિંતાજનક સ્તરે વધવા લાગ્યો છે. કોરોનાના કપરા કાળમાં મસીહા એટલે કે વોરિયર્સ તરીકે દિવસ - રાત કામ કરતા ડોકટરોને પણ આ વાયરસે પોતાના સકંજામાં લેતા તંત્ર અને લોકોમાં ચિંતાનું મોજુ ફેલાઇ જવા પામ્યું છે. રાજકોટમાં ૧૦૦ જેટલા ડોકટરોને પણ કોરોના થયાનું બહાર આવતા ઇન્ડિયન મેડિકલ એસોસીએશન પણ ચિંતીત બન્યું છે અને તેણે પોતાના સભ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ઇન્ડિયન મેડિકલ એસોસીએશનને પોતાના સભ્યો જોગ એવું જણાવ્યું છે કે, રાજકોટમાં સ્થિતિ અતિ ગંભીર અને ચિંતાજનક બની છે. રાજકોટ રાજ્યનું હોટસ્પોટ બની ગયું છે અને રોજેરોજ સ્થિતિ કાબુ બહાર જઇ રહી છે.

એસો.એ જણાવ્યું છે કે, કોરોનાથી આપણા ૧૦૦થી વધુ સભ્યો સંક્રમિત બન્યા છે. જેમાંથી અમુકને શહેરની વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના પોતપોતાના ઘરોમાં હોમ આઇસોલેશનમાં છે. અમુક સભ્યો એટલે કે ડોકટરો સાજા પણ થઇ ગયા છે ત્યારે એસોસીએશન એવી પ્રાર્થના કરે છે કે દરેક સભ્ય વહેલામાં વહેલી તકે સાજા થઇ જાય અને લોકોની સેવામાં લાગી જાય.

ઇન્ડિયન મેડિકલ એસોસીએશન રાજકોટએ વધુમાં જણાવ્યંુ છે કે અમારા વડામથક દ્વારા બે મહિના પહેલા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું હવે એ રાજકોટ માટે જરૂરી બન્યું છે. ઇન્ડિયન મેડિકલ એસો.ની સમગ્ર ટીમ પોતાના સભ્યોને વિનંતી કરે છે કે, માત્ર હોસ્પિટલોમાં જ પોતાની જીંદગી જીવવા પણ અત્યંત સાવચેતી રાખે અને સાવચેતીના તમામ પગલા લે.

ઇન્ડિયન મેડિકલ એસો.એ વધુમાં જણાવ્યું છે કે, હોસ્પિટલમાં હો ત્યારે યોગ્ય અને સ્ટાન્ડર્ડ માસ્ક, ફેસ શિલ્ડ, ગોવ્લ્ઝ, એપ્રોનનો ઉપયોગ કરે. દર્દી અને સગાઓ સાથે વાતચીત કરતી વેળાએ સલામત ડીસ્ટન્સ રાખે, ઓછામાં ઓછો સમય દર્દી અને સગાઓ સાથે પગાર કરે, તમારા કિલનીક કે દવાખાનામાં દર્દીઓ સાથે માત્ર ૧ જ વ્યકિતને પ્રવેશ આપે, જો શકય હોય તો અગાઉથી પ્લાન કરેલુ કામ પાછળની તારીખ સુધી મુલત્વી રાખે, બાળકો માટેની હોસ્પિટલના ડોકટરોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. એટલું જ નહિ તમામ હોસ્પિટલના સ્ટાફને પણ સંક્રમણથી બચાવવા માટેના તમામ પગલાઓને અનુસરવા જણાવાયેલ.

એસો.એ જણાવ્યું છે કે, અત્યારે સમય મહત્તમ એલર્ટ રહેવાનો છે. મહેરબાની કરીને કોઇ સભ્યએ મિત્ર કે પરિવારનો મેળાવળો રાખવો નહિ. તમામ સભ્યો પોતાની તબિયતની કાળજી રાખે. ઝીંક, વિટામીન-સી અને વિટામીન-ડી સતત લે એટલું જ નહિ ઇમ્યુનિટી માટે સતત પગલા ભરે તેમ આઇએમએ રાજકોટના પ્રમુખ ડો. જય ધીરવાણી અને માનદ સેક્રેટરી ડો. રૂકેશ ધોડાસરાએ જણાવ્યું છે.

(3:00 pm IST)