કુવાડવા રોડ શિવધારા રેસિડેન્સીમાં બીજા માળેથી પડતું મુકી વૃધ્ધ વાલજીભાઇ સાકરીયાનો આપઘાત
બિમારીથી કંટાળી જઇ મોડી રાતે પડતું મુકયું: હોસ્પિટલમાં મોતઃ સાકરીયા પરિવારમાં શોક
રાજકોટ તા. ૯: કુવાડવા રોડ પર ડી માર્ટવાળી શેરીમાં શિવધારા રેસિડેન્સી કૃષ્ણકુંજમાં રહેતાં વાલજીભાઇ કાનજીભાઇ સાકરીયા (ઉ.વ.૬૫) નામના પટેલ વૃધ્ધે મોડી રાતે અઢી વાગ્યા આસપાસ ઘરના બીજા માળની અગાસીએથી ઝંપલાવતાં મોત નિપજ્યું હતું.
રાત્રીના વાલજીભાઇએ પડતું મુકતાં અવાજ થતાં સ્વજનો જાગી ગયા હતાં. તેમને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.
મૃતક વાલજીભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને નિવૃત જીવન જીવતા હતાં. સંતાનમાં બે પુત્ર તથા એક પુત્રી છે. માનસિક સહિતની બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું સ્વજનોએ જણાવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.