રાજકોટ
News of Thursday, 10th September 2020

'પદીયો કયાં ગ્યો, આજે મારી નાખવો છે...ઘર સળગાવી નાંખવું છે' કહી વિરમાયા પ્લોટમાં ડિસમીસ પોલીસમેન વૃધ્ધની ધમાલ

અગાઉ મકાન સળગાવ્યું હોઇ તેની ફરિયાદનો ખાર રાખી ફરીથી ડખ્ખો કર્યો : જામનગર રોડ હુડકો કવાર્ટરના ૬૪ વર્ષના મહમદહનીફ ખિયાણી સામે પ્ર.નગર પોલીસે એટ્રોસીટી અને નશો કરવાનો એમ બે ગુના નોંધ્યા

રાજકોટ તા. ૯: જામનગર રોડ હુડકો કવાર્ટરના ડિસમીસ પોલીસમેન મુસ્લિમ વૃધ્ધે નશો કરેલી હાલતમાં મોટી ટાંકી પાછળ વિરમાયા પ્લોટમાં મોડી રાતે એક પરિવારના ઘરના દરવાજામાં પાટા મારી તેને જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી 'પદિયો કયાં ગ્યો, બહાર નીકળ, આજ તો મારી જ નાંખવો છે, ઘર સળગાવી નાંખવું છે'...કહી બૂમબરાડા પાડી ધમાલ મચાવતાં પોલીસે તેની સામે બે ગુના નોંધી ધરપકડ કરી છે. અગાઉ આ વૃધ્ધે મકાન સળગાવ્યું હોઇ તેની ફરિયાદનો ખાર રાખી તેણે ફરીથી ખેલ કર્યા હતાં.

પોલીસે આ બનાવમાં મોટી ટાંકી ચોક કોટક સ્કૂલ પાછળ વિરમાયા પ્લોટ-૨માં રહેતાં રમિલાબેન ધીરજભાઇ પરમાર (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી જામનગર રોડ હુડકો કવાર્ટરમાં રહેતાં મહમદહનીફ અબ્દુલભાઇ ખિયાણી (ઉ.વ.૬૪) નામના વૃધધ વિરૂધ્ધ આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨) તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. તેણે નશો કરી રાખ્યો હોઇ આ અંગે અલગથી ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

રમિલાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે  પોતે પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. પતિ રિક્ષા હંકારે છે. બુધવારે રાતે ઘરના સભ્યો જમીને સુવાની તૈયારી કરી રહ્યા હતાં ત્યારે આશરે પોણા અગિયારેક વાગ્યે જામનગર રોડ હુડકો કવાર્ટરનો મહમદહનીફ ખિયાણી આવ્યો હતો અને દરવાજામાં લાતો મારી ગાળો બોલવા માંડ્યો હતો. તેમજ 'પદીયો કયાં છે, બહાર નીકળ તને પતાવી દેવો છે' તેમ કહી જોર જોરથી ગાળો બોલવા માંડ્યો હતો.

આ પછી રમિલાબેનના દિયર પ્રદિપભાઇ ઘરે હાજર હોઇ તેને મહમદહનીફની બીક લાગતાં તે ભાગીને જતાં રહેલ. ત્યારબાદ મહમદહનીફે વધુ દેકારો મચાવ્યો હતો અને 'અગાઉ મેં તમારું ઘર સળગાવી નાંખ્યું હતું અને તમે મારા વિરૂધ્ધ ફરિયાદ કરી હતી, હવે તમને બધાને પતાવી દેવા છે, આખા ઘરને સળગાવી નાંખવું છે'...તેમ કહી બૂમબરાડા પાડતાં લોકો ભેગા થઇ ગયા હતાં. કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસ આવી ગઇ હતી.

રમિલાબેને વધુમાં જણાવ્યું હતું કે અગાઉ તેના દિયર પ્રદિપભાઇ સાથે મહમદહનીફના દિકરા સાજનને મિત્રતા હતી. સાજનને પ્રદિપ બગાડે છે તેવી શંકા કરી એકાદ વર્ષ પહેલા મહમદહનિફે ઝઘડો કરી રમિલાબેનનું ઘર સળગાવ્યું હતું. તે અંગે ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી ગત રાતે ફરીથી તેણે ખેલ કર્યા હતાં.  પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં એએસઆઇ કનુભાઇ માલવીયા સહિતે કાર્યવાહી કરી હતી. મહમદહનીફ ખિયાણી સામે દારૂ પીવાનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. એટ્રોસીટી અંગેની તપાસ એસસીએસટી સેલના એસીપી ચલાવી રહ્યા છે. આરોપી ડિસમીસ પોલીસમેન હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(12:50 pm IST)