જસદણ કોવિડ કેરમાં ૨૫થી માંડી ૭૫ વર્ષના ૧૦ દર્દીઓ થયા કોરોના મુકત
કોરોનાથી ગભરાવું નહિ, ને ગફલતમાં પણ ન રહેવું: સ્નેહલ જીવાણી
રાજકોટ,તા. ૧૦: રાજય સરકારના સતત માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ દ્વારા કોરોનાને પરાસ્ત કરવા નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના યોદ્ઘાઓની કર્તવ્યનિષ્ઠ કામગીરીના કારણે રાજકોટ જિલ્લાના જસદણ કોવિડ કેર સેન્ટર ખાતે અનેક લોકો કોરોના સામે જંગ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં ૨૫ થી ૭૫ વર્ષ સુધીના ૧૦ લોકો કોરોનામુકત બન્યા છે.
આ પૈકી ૨૫ વર્ષીય સ્નેહલબેન જીવાણી કે જે ૭ દિવસમાં કોરોનામુકત થયા તેણે પોતાના સારવારના અનુભવને જણાવતા કહે છે કે,'મને તાવ આવવાની શરૂઆત થયેલી, પછી મને શરદી ઉધરસ થયાં. હું સાદી પેરાસિટામોલ વગેરે દવા લેતી હતી અને નાસ લેતી હતી પણ કોઈ ફરક પડતો નહોતો. ત્રણેક દિવસ પછી એક રાત્રે બામ લગાવવા ગઈ તો સુગંધ ન આવી. પછી હું રોજ અજમાનો નાસ લેતી હતી તો એની પણ સુગંધ ન આવી. તેથી મેં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. અને મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એટલે મને જસદણ કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવી. શરૂઆતમાં તો બે ત્રણ દિવસથી મને કઈ રીતે કોરોના થઈ શકે અને મને કયાંથી સંક્રમણ લાગ્યું એ જ હું વિચાર્યા કરતી હતી. પણ પછી મને સમજાયું કે જો હું આ વિચારવાનું બંધ નહીં કરું તો કોરોના શારીરિક કરતાં માનસિક રીતે વધુ અસર કરશે.મારી બધાને એક જ વિનંતી છે કે કોરોનાથી ગભરાવું નહી, પરંતુ ગફલતમાં પણ ન રહેવું.