ઇંટ ઉત્પાદકોને સહાય જાહેર ન કરાતા ૧૫ મીથી ઉપવાસ આંદોલનના મંડાણ
રાજકોટ તા. ૧૧ : તાઉતે વાવાઝોડાના કારણે ઇંટ ઉત્પાદકો તેમજ માટી કામ કરનારાઓને મોટુ નુકશાન થયુ હતુ. આ નુકશાની સામે રાહત પેકેજ આપવા સરકારમાં રજુઆતો કરવા છતા કોઇ રાહત પેકેજ નહીં ફાળવાતા આખરે આગામી તા. ૧૫ થી રાજકોટમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનના મંડાણ કરવા નિર્ણય લેવાયો હોવાુનં રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના બળવંતભાઇ હળવદીયાની યાદીમાં જણાવાયુ છે.
આ યાદીમાં જણાવાયુ છે કે પ્રજાપતિ પરિવારોને વાવાઝોડા અને વરસાદથી થયેલ નુકશાન અંગે આર્થિક વળતર મળે તે સંદર્ભે કોર કમીટીની રચના કરવામાં આવેલ. જેમાં રમેશભાઇ સોરઠીયા (પ્રમુખ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ), ચંદુભાઇ જાદવ (મહામંત્રી સૌરાષ્ટ્ર કચ્છ ઇંટ ઉત્પાદક સંઘ), બળવંતભાઇ હળવદીયા (મંત્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ), અશોકભાઇ ગોહેલ (સહમંત્રી ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ), અશોકભાઇ હળવદીયા (પ્રવકતા સૌરાષ્ટ્ર કચ્છ), કૈલાશભાઇ જાગાણી (પ્રજાપતિ જ્ઞાતિ અગ્રણી), કિશોરભાઇ સરેરીયા (ઇંટ ઉત્પાદક સંઘ), મુકેશભાઇ ગોરવાડીયા (ઇંટ ઉત્પાદક સંઘ), ચંદુભાઇ ભલગામા (ઇંટ ઉત્પાદક સંઘ), દામજીભાઇ ભલસોડ (કારોબારી સભ્ય ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ) ની નિયુકિત કરાઇ હતી.
ત્યારે પ્રજાપતિ સમાજને આર્થીક વળતર આપવા સરકારને ઢંઢોળવા આ કોર કમીટી દ્વારા તા. ૧૫ થી ઉપવાસ આંદોલનનો નિર્ણય લેવાયો હોવાનું બળવંતભાઇ હળવદીયા (મો.૯૪૨૬૨ ૪૦૨૩૪) ની યાદીમાં જણાવાયુ છે.