રાજકોટ
News of Friday, 11th June 2021

રાજકોટમાં સામાકાંઠા વિસ્તારમાં થયેલ ભરવાડ શખ્સના ખૂનમાં કાઠી શખ્સના જામીન મંજુર

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટમાં સામાકાંઠે આવેલ 'સૂર્યદીપ' હોટલ પાસે થયેલ ભરવાડ શખ્સના ખૂનના ગુન્હામાં કાઠી શખ્સનો જામીન ઉપર છૂટકારો સેસન્સ કોર્ટે ફરમાવેલ છે.

રાજકોટમાં રહેતા રામદેવભાઈ હીરાભાઈ ફાંગલીયાએ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તા. ૮-૮-૨૦૨૦ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી અને જેમાં જણાવેલ કે તેઓ માર્કેટીંગ યાર્ડની બાજુમાં ચામુંડા હોટલની બાજુમાં આવેલ ગાંઠીયાવાળાને ત્યાં ગાંઠીયા ખાવા ગયેલ ત્યારે રવિ કાઠી તથા અન્ય ઈસમો સાથે ગાળો બોલવા બાબતે બોલાચાલી થયેલ અને ઝઘડો થયેલ બાદમાં મરણજનાર દિનેશભાઈ તથા તેના મિત્રો સૂર્યદીપ હોટલ પાસે પોતાની પાસે રહેલ હથીયારો વડે હુમલો કરેલ અને ત્યાં આ રવિ કાઠી તથા રાજદીપસિંહ રવુભા તથા અન્ય એક માણસ હાજર હતો અને આ રવિ કાઠીએ છરી કાઢી અને રાજદીપસિંહ રવુભા ધાંધલ તથા અન્ય અજાણ્યા માણસોએ મારા ભાઈને પકડી રાખેલ અને રવિ કાઠીએ મારા ભાઈને છરી મારી દીધેલ અને આ મારો ભાઈ બેભાન થઈ જતા મારા ભાઈને સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ જ્યાં ડોકટરે મારા ભાઈ દિનેશભાઈ હીરાભાઈ ફાંગલીયાને મરણ જાહેર કરેલ હતો અને જેથી ઉપરોકત બાબતે ખૂનનો ગુન્હો નોંધાયેલ હતો.

યાર્ડમાં ગાંઠીયા ખાવા બાબતે થયેલ માથાકુટ બાદ ફરીથી આ લોકો સૂર્યદીપ હોટલ ખાતે ગયેલ અને જ્યાં સામસામી મારામારીનો બનાવ બનેલ જે ગુન્હામાં પોલીસે રાજદીપ રવુભા ધાંધલ વિગેરે-૬ વિરૂદ્ધ ફરીયાદ નોંધી તેઓની ધરપકડ કરેલ હતી. મુદામાલ હથીયારો કબ્જે કરી આરોપીઓની રીમાન્ડ મેળવી પુરતા પુરાવાઓ હોય જેલ હવાલે કરેલ હતા. ત્યાર બાદ આરોપી વિરૂદ્ધ પુરતા પુરાવા હોય જ્યુ. અદાલતમાં તમામ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ રજુ કરેલ હતું.

ઉપરોકત ગુન્હામાં ચાર્જશીટ થતા આરોપી રાજદીપ રવુભા ધાંધલએ સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજીમાં આરોપી તરફે એ મતલબની રજૂઆત કરેલ હતી કે ફરીયાદી દ્વારા આરોપીનું ખોટું નામ આપવામાં આવેલ છે અને ખોટી રીતે ફરીયાદ આપીને ખોટી રીતે સંડોવી દીધેલ છે અને ઉપરોકત કેસમાં સામસામી ફરીયાદ નોંધાયેલ છે. તેમજ સ્થાનિક જગ્યાના સીસીટીવી ફુટેજ જોતા અરજદાર/આરોપી રાજદીપ રવુભા ધાંધલએ મરણ જનારને પકડી રાખેલ હોય તેવો કોઈ પુરાવો મળી આવેલ ન હોય તેમજ આરોપીનો કોઈ ગુન્હાહીત ભૂતકાળ નથી તથા આરોપી વિરૂદ્ધ પ્રથમ દર્શનીય રીતે પોલીસ તપાસના કાગળોમાં કોઈ પુરાવો મળી આવતો નથી તેવી રજુઆતો ભગીરથસિંહ ડોડીયા દ્વારા કરવામાં આવેલ હતી.

ઉપરોકત સંજોગોમાં સેશન્સ કોર્ટ દ્વારા બચાવપક્ષની રજૂઆતો, પોલીસ તપાસના કાગળો અને કાયદાકીય પરિસ્થિતિ ધ્યાને લઈ અરજદાર આરોપીને રૂ ૨૦,૦૦૦ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, કિરીટ બી. નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, પ્રદ્યુમનસિંહ જાડેજા એડવોકેટ રોકાયેલ હતા.

(3:17 pm IST)