મ.ન.પા. શહેરને પાંચ ઝોનમાં વિભાજીત કરશે
નવા ગામો ભેળવાતા હવે વહીવટી દ્રષ્ટિએ વધુ બે ઝોનનો ઉમેરોઃ નવા ડે. કમિશ્નર, સીટી ઇજનેરોની નિમણુંકો થશે
રાજકોટ, તા., ૧૧: શહેરમાં નવા પાંચ ગામો ભેળવાતા હવે વહીવટી દ્રષ્ટિએ મ.ન.પા. દ્વારા શહેરને પાંચ ઝોનમાં વિભાજીત કરવામાં આવશે.
આ અંગે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું કે હાલમાં ત્રણ ઝોન મુજબ કામગીરી થઇ રહી છે. હવે પછી તેમાં નવા બે ઝોન ઉમેરવામાં આવશે.
આ માટે નવા બે ડે. કમિશ્નર તથા ર સીટી ઇજનેરો સહીતનું સ્ટાફ સેટ અપ ગોઠવવામાં આવશે.
આ ઉપરાંત વર્ષ ર૦ર૧-રરનાં બજેટમાં રહેલા રામવન, નવા બ્રીજ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહીતના મહત્વનાં પ્રોજેકટો સમય મર્યાદામાં પુર્ણ થાય તે માટે કામગીરી ઝડપી બનાવવા જવાબદાર અધિકારીઓ સાથે બેઠક યોજાશે.
જયારે નવા બે ઝોન બનાવવાના સૈધ્ધાંતીક નિર્ણય માટે મેયર સહીતના પદાધિકારીઓ સાથે બેઠક યોજી નિર્ણય લેવાશે તેમ મ્યુ. કમિશ્નર શ્રી અગ્રવાલે જાહેર કર્યુ હતું.