કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ કાર્યવાહી અને ઓનલાઈન પરીક્ષા મુદ્દે સોમવારે એકેડેમીક કાઉન્સીલની બેઠક
એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં મહત્વનો નિર્ણયઃ જરૂર જણાશે ત્યાં જ બેઠક વધારાશે
રાજકોટ, તા. ૧૧ :. કોરોના મહામારીમાં માસ પ્રમોશન આપવામાં આવ્યુ છે. આ સંજોગોમાં પ્રવેશની સ્થિતિ કપરી બની રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ દિશામાં આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તા. ૧૪ના સોમવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકેડેમીક કાઉન્સીલની બેઠક મળનાર છે. નવી એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવાનાર અને શૈક્ષણિક કેલેન્ડરની પણ ચર્ચા થશે.
એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં ધો. ૧૨માં માસ પ્રમોશન મળતા મોટી સંખ્યામાં છાત્રો કોલેજમાં પ્રવેશ લેશે. આ સ્થિતિમાં પ્રવેશ પ્રશ્ન પડકાર બનશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોલેજમા તમામ વિદ્યાશાખામાં પ્રવેશ અંગે શું માપદંડ રાખવું ? તે અંગે ચર્ચા થશે. જ્યાં જરૂર હોય તે ક્ષેત્રમાં જ વિદ્યાર્થી સંખ્યા વધારાશે. પ્રવેશ કાર્યવાહી પણ ઝડપથી પૂર્ણ કરવા ચોક્કસ નિયમો ઘડાશે.
એકેડેમીક કાઉન્સીલની બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બાકી રહેલી પરીક્ષા અંગે નિર્ણય થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા ઓનલાઈન યોજવાના ઉજળા સંજોગો છે.