કોરોનાં સંક્રમણ રોકવા ઉદિત અગ્રવાલ મેદાનમાં: માસ્ક -સોશ્યલ ડીસ્ટન્શનું ચેકીંગ
કેટલાક સ્થળોએથી દંડ વસુલાયો : રસનાં ચિચોડા-‘ચા' ના થડાઓમાં હવેથી ડીસ્પોઝીબલ ગ્લાસ ફરજીયાત
રાજકોટ, તા., ૧૨: શહેરમાં ભીડને કારણે કોરોના સંક્રમણ વધી રહયું છે ત્યારે માસ્ક-સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરાવવા બાબતે આજે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ ખુદ રોડ ઉપર ઉતર્યા હતા અને ચેકીંગ કર્યુ હતું.
શ્રી અગ્રવાલે આજે સવારે યુનિવર્સિટી રોડ, રૈયા રોડ, નિર્મલા રોડ વગેરે માર્ગો પર ચા-રસના ચિચોડા સહીતના સ્થળોએ એકત્રીત થતા ટોળાઓનો વિખેર્યા હતા અને લોકોને માસ્ક પહેરવા તથા સોશ્યલ ડીસ્ટન્સનાં નિયમનું ચુસ્ત પાલન કરવા અપીલ કરી હતી.
તેમજ જે દુકાનોમાં કોવીડ-૧૯નાં નિયમોનો ખુલ્લે આમ ભંગ થતો હોવાનું જોવા મળેલ તેવા કેટલાક સ્થળોએથી દંડ પણ વસુલ કરાવ્યો હતો.
દરમિયાન હવેથી રસનાં ચિચોડા -ચાના થડા, હોટલો વગેરે સ્થળોએ કાગળ અથવા થર્મોકોલનાં ડીસ્પોઝબલ ગ્લાસમાં જ પીણા આપવાનું ફરજીયાત બનાવાયું હોવાનું મ.ન.પા.ના તંત્રએ જાહેર કર્યુ હતું.