કાગદડીના મહંતે ૨૦-૨૦ લાખ બે વખત આપી દીધા પછી વધુ રકમ મંગાતી'તી?: તપાસમાં મોટા ઘટસ્ફોટની શકયતા
જે વિડીયો ફરતો થયો એ મહંતનો છે, પણ આશ્રમનો ન હોવાની ચર્ચાઃ પોલીસે ૨૦થી વધુના નિવેદનો લીધા : ત્રણેય આરોપીઓને પકડવા ચાર જેટલી ટીમોની દોડધામ પણ સફળતા મળતી નથી
મહંતશ્રી જયરામદાસબાપુ : જેના સામે ગુનો દાખલ થયો છે એ આરોપીઓનો ફાઇલ ફોટો
રાજકોટ તા. ૧૨: રાજકોટ-મોરબી હાઇવે પર આવેલા કાગદડીના પાટીયા પાસેના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંત ૧૦૦૮ સાધુ શ્રી જયરામદાસ ગુરૂપ્રેમદાસના મોતની ઘટના કુદરતી મૃત્યુની નહિ પણ આપઘાતની હોવાનું સ્પષ્ટ થઇ ગયા પછી પોલીસે મહંતને મરવા માટે મજબૂર કરનારા તેના જ ભત્રીજા, જમાઇ અને સેવક સામે ગુનો નોંધી ત્રણેયની શોધખોળ આદરી છે. આ ત્રણેય હાથમાં આવ્યા નથી. પરંતુ તપાસ દરમિયાન સત્તાવાર અને બીનસત્તાવાર આ મૃત્યુને લઇને અનેક ચોંકાવનારી, શંકાઓ ઉભી કરતી અને તપાસ માંગી લેતી વિગતો બહાર આવતી રહે છે. સમગ્ર ઘટના પાછળ પૈસાનો જ ખેલ હોવાનું પણ સામે આવી રહ્યું છે. મહંતના બે યુવતિ સાથે વિડીયો ઉતારી લઇ બે વખત ૨૦-૨૦ લાખ આપી દીધા હતાં, વધુ ૫૦ લાખ માંગવામાં આવતાં હોઇ મહંત મરી જવા મજબૂર થયા હોઇ શકે તેવી પણ જાણકારોમાં ચર્ચા છે. બીજી તરફ જે વિડીયો કલીપ ફરતી થઇ છે તેનું રેકોર્ડિંગ આશ્રમમાં નહિ પણ બીજે કયાંક થયાની પણ ચર્ચા છે.
પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ મોઢા એટલી વાતો આ બનાવમાં સામે આવી રહી છે. પરંતુ મુખ્ય આરોપીઓ હાથમાં આવ્યા પછી પણ સાચી વિગતો સામે આવશે કે કેમ? એ સવાલ ઉભો થયો છે. પોલીસે ટ્રસ્ટીઓ, મંદિરના કર્મચારીઓ સહિત ૨૦ જેટલા લોકોના નિવેદનો નોંધ્યા છે. મહંતે લખેલી ચિઠ્ઠી મુજબની વાતોના પુરાવા પણ મેળવ્યા છે. બે યુવતિના છ જેટલા વિડીયોને આધારે મહંતને બ્લેકમેઇલ કરવામાં આવતાં હોવાનું સામે આવ્યું હોઇ એક યુવતિની ઓળખ પણ પોલીસે મેળવી લીધી છે. બીજી તરફ એક વિડીયો વહેતો થયો છે એ વિડીયોમાં મહંત તો છે પણ જ્યાં વિડીયો ઉતારાયો એ જગ્યા આશ્રમ ન હોવાનું અને વિડીયો ઉતારી છેલ્લે એક શખ્સ 'હાલો હવે બે'ય બારા નીકળો, અંહિ બધું થઇ ગ્યું' એવું બોલે છે આ શખ્સનો અવાજ પણ ઓળખાઇ ગયો છે.
મહંતના રૂમમાંથી મળેલી ૨૦ પાનાની સ્યુસાઇડ નોટમાં ૩૦મીએ સેવક ગાંધીગ્રામના વિક્રમ ભરવાડે મહંત સાથે મારકુટ કરી હતી તેવો ઉલ્લેખ છે. સીસીટીવી ફૂટેજ ચેક કરતાં આ વાત સાચી ઠરી છે. એ દિવસે વિક્રમ ધોકો લઇને મહંતના રૂમમાં જતો દેખાયો હતો. ઉપરાંત એ પણ સ્પષ્ટ થઇ ગયું હતું કે મહંતે ઝેર પીને આપઘાત જ કર્યો છે, તેમની હત્યા થઇ નથી. આ પુષ્ટી પણ સીસીટીવી ફૂટેજને આધારે જ થઇ છે.
મહંતના ભત્રીજા કોડીનારના પેઢાવડા ગામના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, અલ્પેશના બનેવી સુત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેતાં હિતેષ લક્ષમણભાઇ જાદવ અને રાજકોટ ગાંધીગ્રામમાં રહેતાં વિક્રમ દેવજીભાઇ સોહલા (ભરવાડ)એ મહિલા સાથેના વિડીયો ઉતારી લઇ મારકુટ કરી મહંતને હેરાન પરેશાન કરવામાં આવતાં હોઇ કંટાળીને તેમણે આપઘાત કરી લીધાની ફરિયાદ આશ્રમના એક ટ્રસ્ટી રામજીભાઇ જેશાભાઇ લીંબાસીયાએ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે.
પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદની સુચના મુજબ ડીસીપી ઝોન-૧ પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલ અને કુવાડવા પીઆઇ એન. એન. ચુડાસમા આ બનાવની તપાસ અલગ અલગ ટીમોની મદદથી કરી રહ્યા છે. જે બે યુવતિના વિડીયો અલ્પેશ અને હિતેષે બનાવ્યા હતાં તેમાંથી એક યુવતિ મહંતના નજીકના સગામાં હોવાનું પણ સામે આવ્યું છે. જો કે એ યુવતિ સાથે કોઇ આપત્તીનજક વિડીયો નથી. યુવતિ નોકરી કરતી હોઇ જેથી નોકરીના સ્થળેથી આશ્રમે આવતી જતી હતી અને રોકાતી પણ હતી. નોકરી સહિતની બાબતોમાં તેણીને ટોર્ચરીંગ થતું હોવાનું કહેવાય છે.
ભાગતા ફરતાં મુખ્ય ત્રણ આરોપીઓને રહેલા આરોપીઓને પકડી લેવા ચાર અલગ અલગ ટીમો બનાવાઇ છે. જેમાં ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ પી. એમ. જોગરાણાની ટીમો અને કુવાડવા પોલીસની બે ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરે છે. પોલીસે તપાસમાં એફએસએલની મદદ પણ લીધી છે. ઉપરાંત મૃતદેહની રાખ અને હાડકાના નમુના પણ લઇને ડીએનએ ટેસ્ટ કરાવવા મોકલયા છે. ઉપરાંત આશ્રમના સીસીટીવી ફૂટેજ, ડીવીઆર પણ કબ્જે લઇ તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રસ્ટીઓ, આશ્રમના કર્મચારીઓ સહિત બારેક લોકોના નિવેદનો પોલીસે નોંધ્યા છે. ફરિયાદ મુજબની વિગતો આ નિવેદનોમાં સામે આવી રહી છે. મુખ્ય આરોપીઓ હાથમાં આવે તેની પોલીસ રાહ જોઇ રહી છે.
સમગ્ર બનાવમાં પૈસા પડાવવા માટે મહંતના જ ભત્રીજા અને જમાઇ સહિતે મહંતને ફસાવી વિડીયો બનાવ્યાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. આશ્રમ સાથે સંકળાયેલા લોકોની જુદી જુદી દિશામાં પુછતાછ થઇ રહી છે. જેમાં મોટો ઘટસ્ફોટ થવાની પણ શકયતા જણાઇ રહી છે. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એસ. આર. ટંડેલની રાહબરીમાં પીઆઇ એન. એન. ચુડાસમા, પીએસઆઇ બી. પી. મેઘલાતર, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે.ગઢવીની ટીમના પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ પી. બી. જોગરાણા અને તેમની ટીમો તથા કુવાડવા પોલીસ સ્ટેશનના રાઇટર હિતેષભાઇ ગઢવી, હરેશભાઇ સારદીયા તથા ડી. સ્ટાફની ટીમોએ તપાસ યથાવત રાખી છે.