રૈયાધાર પાસે એપાર્ટમેન્ટમાં વૃધ્ધ ગીરીશભાઇનો ફાંસો ખાઇ આપઘાત
વૃધ્ધે અગાઉ પણ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો'તો
રાજકોટ તા. ૧ર : રૈયાધાર પાસે ડ્રીમ સીટી એપાર્ટમેન્ટમાં રહેતા વૃધ્ધે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ રૈયાધાર પાસે ડ્રીમ સીટી એપાર્ટમેન્ટમાં સી-ર વીંગ ફલેટ નં. ૯૦રમાં રહેતા ગીરીશભાઇ દ્વારકાદાસભાઇ જોશી (ઉ.૬૦) એ પોતાના રૂમમાં પંખા સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. નાનો પુત્ર સવારે ઉઠયો ત્યારે રૂમનો દરવાજો ખોલતા પિતાને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. સાજીદભાઇ તથા રાઇટર અનુજભાઇએ સ્થળ પર પહોંચી ગયા હતા. મૃતક ગીરીશભાઇ લોધાવડ ચોક પાસે એક સ્પેરપાર્ટની દુકાનમાં નોકરી કરતા હતા તેણે અગાઉ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકવ્યાપી ગયો છે. વૃધ્ધે કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.