કાલે રાત્રે ઘાંચી મસ્જીદે સતત ૧પમો રૂહાની જલ્સો
યૌમે રઝા ત્થા ઇસ્હાકબાપુના ર૮મા ઉર્ષ પ્રસંગે
રાજકોટ તા. ૧૪ :.. આવતીકાલ રવિવારે સુન્ની ઘાંચી મસ્જીદ (સોની બજાર)નો સતત ૧પ મો રૂહાની જલ્સો, જશ્ને યૌમે રઝા અને ઉર્ષે ચિશ્તી, મુશાહિદી, હશમતીના નામે યોજાયો છે.
આ તકે ૯-૦પ વાગ્યે અઝાન, ૯-ર૦ ના જમાઅત પછી ઇશાની નમાઝ બાદ તુરત જ રાબેતા મુજબ આ જલ્સો શરૂ થઇ ૧૧ વાગ્યે પૂરો થઇ જશે.
જલ્સાની શરૂઆત મૌલાના કારી મો. અબ્બાસબાપુ નૂરી રઝવી તિલાવત, ના'તથી કરશે.
દર વર્ષે આ રૂહાની જલ્સો તેના નિયત દિવસ અને નિયત સમય મર્યાદામાં સુન્ની ઘાંચી મસ્જીદમાં યોજાય છે. જેમાં દર વર્ષે ભરપુર હાજરી લોકો આપે છે. ત્યારે પરંપરા મુજબ આ વખતે આ જલ્સામાં ૧પ વર્ષ બાદ ફરી રાજકોટ પધારતા હુઝૂર ફાતેહ ગુજરાત (રહે.) ના મોટા સુપુત્ર અને સૌરાષ્ટ્રના જાણીતા શોલાબયાં મુકરીર હઝરત મૌલાના સૈયદ હસનૈનરઝા સાહબ (જામનગર) હાજરી આપી તકરીર ફરમાવશે.
ઉર્ષે હશમતી નિમિતે ગુરૂવારે ૧૦ શવ્વાલના રોજ સૌરાષ્ટ્રના જાણીતા આલિમ અને હઝરત તુર્કીબાપુ (રહે.)ના રૂહાની સુપુત્ર, ખલીફ-એ-મુફતી-એ-આ'ઝમ હિન્દ, હઝરત મૌલાના મો. ઇસ્હાક સાહેબ હશમતી (રહે.)ની ખામોશ કોલોની ખાતે આવેલ તુર્બત શરીફ ઉપર ગુસલવિધિ, ચાદરવિધિ, શજરાખ્વાની, ફાતેહા ખ્વાની, સલામી પરંપરાગત અર્પિત કરી ઉર્ષ ઇસ્હાકબાપુનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અત્રે એ નોંધનીય છે કે, હઝરત મૌલાના ઇસ્હાક સાહેબ જીંદગી પર્યત યૌમે રઝા ૧૦ શવ્વાલના હમેંશા જાહેર રીતે ઉજવતા હતાં.
આ જલ્સામાં સુન્ની મુસ્લિમ બિરાદરોને હાજરી આપવા સુન્ની ઘાંચી મસ્જીદ ટ્રસ્ટના સર્વે સવા મહેબુબભાઇ પરમારે એકયાદીમાં જણાવ્યું છે.