ભક્તિનગર સોસાયટીના બગીચામાં ઝેર પી લેનારા બિંદુબેન મકવાણાનું મોત
વિચારવાયુથી કંટાળીને પગલુ ભર્યુ હતું: કડીયા પરિવારમાં શોક
રાજકોટ તા. ૧૪: કોઠારીયા રોડ પર રામેશ્વર સોસાયટીમાં નાલંદા સ્કૂલ પાસે રહેતાં બિંદુબેન વિનોદભાઇ મકવાણા (કડીયા) (ઉ.વ.૫૮) નામના મહિલાએ ગઇકાલે સવારે ભક્તિનગર સોસાયટીમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા બગીચામાં ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સારવાર દરમિયાન તેમનુંમોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર બિંદુબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ વિનોદભાઇ નિવૃત જીવન જીવે છે. તેમણે જણાવ્યું હતું કે પત્નિને વિચારવાયુની બિમારી હોઇ સિવિલ હોસ્પિટલમાં સતત તેર દિવસ સુધી દાખલ રખાયા હતાં. બે દિવસ પહેલા જ ત્યાંથી રજા અપાઇ હતી અને આજે મંગળવારે ફરીથી સિવિલમાં બતાવવા જવાનું હતું. ત્યાં ગઇકાલે સવારે ઘરેથી નીકળી ગયા હતાં અને બગીચામાં ઝેરી દવા પી લીધી હતી.
એકઠા થયેલા લોકોએ પુછતાછ કરતાં તેણીએ મારા ફોન નંબર આપતાં કોઇ ભાઇએ મને ફોન કરીને જાણ કરતાં હું બગીચા ખાતે પહોંચ્યો હતો અને હોસ્પિટલમાં ખસેડી હતી. જો કે રાતે દમ તોડી દીધો હતો. ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
આનંદનગરના હર્ષિદાબેનનું બેભાન હાલતમાં મોત
કોઠારીયા રોડ આનંદનગર ક્વાર્ટર નં. ૨૩૭માં રહેતાં હર્ષિદાબેન જગદીશભાઇ મછોયા (ઉ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના કલ્પેશભાઇ સરવૈયાએ જાણ કરતાં હેડકોન્સ. પી. એન. ગોહેલે જરૂરી કાર્યવાહી કરી હતી.