રાજકોટ
News of Tuesday, 14th June 2022

ખંભાલીડાની ગુફા, ઓસમ ડુંગર, ઘેલા સોમનાથ, સંગ્રામસિંહજી હાઇસ્કુલ, ગાંધી મ્યુઝિયમ સહીતના સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાશે

રાજકોટ:૨૧ જૂન નો દિવસ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ યોગ દિવસની રાજકોટ જિલ્લામાં થનારી ઉજવણી નિમિત્તે કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

રાજકોટ જીલ્લાના મહત્વના પ્રતીકાત્મક સ્થળો જેવા કે ખંભાલીડાની ગુફા, ઓસમ ડુંગર, મુરલી મનોહર મંદિર-સૂપેડી, ઘેલા સોમનાથ, સંગ્રામસિંહજી હાઇસ્કુલ, ગાંધી મ્યુઝિયમ, ક.બા. ગાંધીનો ડેલો તેમજ શહેરની શાળા કોલેજો અને યુનિવર્સિટી,પોલીસ વિભાગના સ્થળો, આરોગ્ય વિભાગના સ્થળો, આઇકોનિક બિલ્ડીંગ્સ સહિતના સ્થળોએ યોગ કાર્યક્રમ અંગેનુ માર્ગદર્શન કલેક્ટરએ સંબંધિત  અધિકારીઓ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, યુવા સંગઠનો, યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને આપ્યું હતું.

આ તકે કલેકટરએ બેઠકમાં યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળા, કોલેજના વિદ્યાર્થીઓ તથા વધુમાં વધુ લોકો જોડાય તેવો અનુરોધ સંબંધિત વિભાગના અધિકારીઓને  કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોવિડ પરિસ્થિતિના લીધે છેલ્લા બે વર્ષથી નિયંત્રણોને લીધે આયોજન થયેલ નથી, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ ઉપક્રમે દેશભરમાં વિવિધ સ્થળોએ ઉત્સાહપૂર્વક યોગ દિવસ કાર્યક્રમો યોજવાનું નક્કી થયું છે. તમામ આયોજનોમાં મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી વર્ચ્યુંઅલી સંબોધન આપશે.

આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી.ઠક્કર, તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ વિવિધ તાલુકાના અધિકારીઓ વિડીયો કોન્ફ્રન્સથી જોડાયા હતાં

(12:58 am IST)