રાજકોટ ઝોનની પાલિકાઓમાં ફાયર N.O.C. વગરની સ્કુલો-હોસ્પીટલોનાં નળ કપાશે
રિજીયોનલ ફાયર ઓફીસરે તમામ પાલિકાઓનાં ચીફ ઓફીસરોને પરિપત્ર પાઠવાયો
રાજકોટ તા. ૧૪ :.. સ્કુલો-હોસ્પીટલોમાં ફાયર સેફટી બાબતે હવે રિજીયોનલ ફાયર ઓફીસર દ્વારા કડક વલણ અપનાવી રાજકોટ ઝોન હેઠળની નગરપાલિકાઓનાં વિસ્તારોમાં ફાયર એન. ઓ. સી. વગરની સ્કુલો અને હોસ્પીટલોમાં નળ કનેકશન કાપી નાંખવા બાબતે પરિપત્ર જારી કર્યો છે.
આ બાબતે ગુજરાત ફાયર પ્રિવેન્શન સર્વિસીનાં રિજીયોનલ ઓફીસર અનિલ બી. મારૂએ રાજકોટ ઝોનની તમામ નગરપાલિકાઓનાં ચીફ ઓફીસરોને પાઠવેલા પરિપત્રમાં સુચના આપી છે. પરિપત્રમાં જણાવાયુ છે કે હાલમાં નામ. હાઇકોર્ટમાં ચાલી રહેલ પીટીશન પીઆઇએલ ૧૧૮/ર૦ર૦ અન્વયે તમામ નગરપાલીકા વિસ્તારોમાં ફાયર એન. ઓ. સી. મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી સ્કુલો તથા હોસ્પીટલોનાં મિલકતદારોને નોટીસ પાઠવવામાં આવે છે. તેમ છતાં જે તે મિલકતદારો દ્વારા ફાયર એન. ઓ. સી. મેળવવા અંગે હજી સુધી કોઇ ગંભીરતા લેવામાં આવેલ નથી જેથી હવે ગુજરાત રાજય અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા અધિનીયમ-ર૦૧૩ માં કરવામાં આવેલ જોગવાઇ હેઠળ મળેલ સત્તાની રૂએ કલમ રપ અને ર૬ (૧) (ર) ક ની જોગવાઇઓ મુજબ સ્કુલો તથા હોસ્પીટલોનાં મિલકતદારો દ્વારા ફાયર એન. ઓ. સી. મેળવેલ ન હોય અથવા તો ફાયર સેફટીની સુવિધા રાખેલ ન હોય તેવી મિલકતોના પાણી કનેકશન કાપવા કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.