ર૮ સોસાયટીમાં રહેતા લોકોમાંથી કોઇ ગભરાતુ હોય-મિલ્કત વેચવી હોય તો કલેકટરને ખાનગીમાં અરજી કરી શકે છે
અશાંત ધારો રાજકોટની જાહેર કરાયેલ ર૮ સોસાયટીને લાગુ પડે છેઃ આખા શહેર-જીલ્લામાં નહિઃ કલેકટરની 'અકિલા' સાથે સાફ વાત : આ સોસાયટીઓમાંથી લોકોની સંખ્યાબંધ રજૂઆતો થઇ હતીઃ પોલીસના અભિપ્રાય-કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરડાવાવની આશંકાએ સરકારને દરખાસ્ત કરાઇ હતીઃ ત્યારબાદ સરકારે નોટીફિકેશન જાહેર કર્યુ છે
રાજકોટ તા. ૧પ :.. રાજકોટનું લાગુ થયેલ વોર્ડ નં. ર ની કુલ ર૮ સોસાયટી અંગે અશાંત ધારો તથા સરકારના નોટીફીકેશન અંગે આજે રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ અશાંત ધારો જાહેર કરાયેલ વોર્ડ નં. રની ર૮ સોસાયટીને જ લાગુ પડે છે, આખા રાજકોટ-શહેર-જીલ્લામાં નહિ.
તેમણે જણાવેલ કે, આ ર૮ સોસાયટીમાં રહેતા મકાન-ફલેટ-પ્લોટ ધારકો પ વર્ષ સુધી મીલકત વેચી નહી શકે, ખરીદી નહિ શકે, કે હસ્તાંતરણ નહિ કરી શકે, તેમજ આ સોસાયટીમાં રહેતી કોઇપણ વ્યકિતને મકાન કે અન્ય કોઇ મીલ્કત આ ર૮ સોસાયટીમાં આવેલી હોય તો તેઓ વેચી શકશે નહીં, પરંતુ જો કોઇ અશાંત અનુભવતા હોય, કોઇ જેન્યુઅન કારણ હોય, કોઇ ગભરાતુ હોય અને મીલ્કત વેચવી હોય તો તેઓ કલેકટર કે એડી. કલેકટરને અરજી કરી શકે છે, તેમની અરજી ખાનગી રહેશે, કોઇએ ગભરાવાની જરૂરત નથી, વ્યાજબી કારણ હશે તો ખાસ કિસ્સામાં મંજૂરી અપાશે.
આ ર૮ સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા અંગે તેમણે જણાવેલ કે આ સોસાયટીમાં રહેતા સંખ્યાબંધ લોકોની ખાનગી રાહે રજૂઆત, પોલીસના અભિપ્રાય, કાયદો - વ્યવસ્થા ખરડાય તેવી સ્થિતિ સંદર્ભે સરકારમાં દરખાસ્ત મોકલાઇ હતી, અને ત્યારબાદ સરકારે નોટીફીકેશન બહાર પાડયું છે.
ઉપરોકત ર૮ સોસાયટી અંગે થયેલ રીપોર્ટ મુજબ ઘણા-ખરા લોકોએ - ચોકકસ એ પ્રકારના લોકો કોને મકાન ખરીદ-વેચાણ કર્યા છે, હસ્તાંતરણ થયા છે, આવો પણ રીપોર્ટ - સંખ્યાબંધ સોસાયટીના લોકોએ ભેગા થઇ રજૂઆતો કરી હતી, ત્યારબાદ સરકારમાં દરખાસ્ત ગઇ છે.