૫૮ વર્ષના મગનભાઈ કાચાએ ૧૪ દિ'ની સારવાર બાદ કોરોનાને હરાવ્યો
રાજકોટ, તા. ૧૫: શહેરના પ૮ વર્ષિય મગનભાઇ નરસિંહભાઇ કાચાએ ૧૪ દિવસની સારવાર બાદ કોરોનાને હરાવી પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરી છે.
મગનભાઇને ચારેક દિવસથી તાવ આવતો હતો, એટલે ફેમિલી ડોકટરને બતાવ્યુ. ડોકટરે તેમના ટેસ્ટ કરાવ્યા તેમાં સિટી સ્કેનમાં કોરોનાના લક્ષણો જણાયા. એટલે ડોકટરોએ તેમને હોસ્પિટલમાં દાખલ થવા જણાવ્યુ. મગનભાઇએ પીડીયુ સરકારી હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.
મગનભાઈને સાત દિવસ સુધી વેન્ટિલેટર ઉપર અને ત્યારબાદ ચારેક દિવસ ઓકિસજન ઉપર રખાયા હતા. ત્યાંથી તેમની તબિયતમાં સુધારો થતાં છેલ્લા ચાર દિવસ તેમને કેન્સર હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.
કારખાનામાં કામ કરતાં મગનભાઇના પરિવારમાં પત્ની અને પુત્ર છે. મગનભાઇ કહે છે કે મને જે સારવાર મળી તેનાથી મારી તબિયતમાં સુધારો થયો છે. હું સ્વસ્થ બન્યો છું. મને સારવારનો સંપૂર્ણ સંતોષ છે. હોસ્પિટલમાં બે સમય પૌષ્ટિક અને ગરમ ભોજન બપોરે અને રાત્રે અને સવાર અને સાંજ બે સમય નાસ્તો આપવામાં આવતો હતો.