પરિવારજનોએ દારૂ પીવાની ના પાડતા શીવાજીનગરના પ્રૌઢ ધીરૂભાઇનો આપઘાત
પ્રૌઢે ગળાફાંસો ખાઇ લીધો : પરિવારમાં આક્રંદ
રાજકોટ,તા. ૧૫ : દૂધસાગર રોડ પર શીવાજીનગર સોસાયટીમાં પરિવારજનોએ દારૂ પીવાની ના પાડતા પ્રૌઢે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ દૂધ સાગર રોડ પર શીવાજીનગર સોસાયટી શેરી નં.૧૧માં રહેતા ધીરૂભાઇ નારણભાઇ બારીયા (ઉવ.૫૫)એ પોતાના ઘરે રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો પ્રૌઢને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ કોઇએ જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇ.એમટી. વિજયભાઇએ તપાસ કરતા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા થોરાળા પોલીસ મથકના પી.એસ.આઇ કે.કે.પરમાર તથા રાઇટર દર્શનભાઇએ તપાસ હાથ ધરી છે. મૃતક ધીરૂભાઇ રીક્ષા ચલાવતા હતા. પરિવારજનોએ દારૂ પીવાની ના પાડતા લાગી આવતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે. બે પુત્ર અને બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોકવ્યાપી ગયો છે.