સોમવારે સ્વાતંત્ર્ય પર્વ : આન બાન શાનથી તિરંગો લહેરાશે
‘‘એ વતન વતન મેરે આબાદ રહે તુ, મૈ જહા રહુ જહામેં યાદ રહે તું'' : ચોમેર દેશભક્તિનો માહોલ : ઠેર ઠેર થશે ધ્વજ વંદન ઃ શાળા કોલેજા અને વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો
રાજકોટ તા. ૧૩ : સોમવારે સ્વાતંત્રય પર્વ હોય ચોમેર દેશભક્તિનો માહોલ છવાયો છે. ભારતની આઝાદીના ૭૫ વર્ષના રૂપમાં આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી ચાલી રહી હોય જન જનના હૈયે ઉમંગ બેવડાયો છે.
સોમવારે આન બાન અને શાનભેર તિરંગાને સલામી અપાશે. અદબભેર સલામી આપી રાષ્ટ્રગીતનું ગાન ગવાશે. ત્યારે રાજકોટમાં પણ વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા ધ્વજ વંદન તેમજ દેશભક્તિસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયુ છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.
સફાઇ કામદાર જાગૃતિ મંડળ
સફાઇ કામદાર જાગૃત મંડળ દ્વારા સોમવારે રાષ્ટ્રીય પર્વ ઉજવાશે. સવારે ૧૧ વાગ્યે મંડળના કાર્યાલય ઓફીસ નં. ૨, ડો. આંબેડકર ભવન, સીવીક સેન્ટર પાસે, ગ્રાઉન્ડ ફલોર, ઢેબરરોડ ખાતે ધ્વજવંદન કરાશે. સભ્યોએ ઉપસ્થિતા રહેવા સફાઇ કામદાર જાગૃતિ મંડળના પ્રમુખ ભરતભાઇ બારૈયા અને યુવા મંડળના પ્રમુખ રાજેભાઇ વાઘેલાએ જાહેર અનુરોધ કરેલ છે.
જીવનનગર વિકાસ સમિતિ
ભારત જન વિજ્ઞાન જાથા અને જીવનનગર વિકાસ સમિતિના ઉપક્રમે તા. ૧૫ ના સોમવારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે. સવારે ૯ વાગ્યે અનિલ જ્ઞાન મંદિર પાછળ, બ્રહ્મસમાજ સામે, જીવનનગર ચોકમાં દેશભક્તિના કાર્યક્રમો થશે. રાષ્ટ્રીય પર્વ નિમિતે વેશભુષા, વકતૃત્વ, શિઘ્ર ચિત્ર, રંગોળી, રાષ્ટ્રીય એકતા રેલી, શૌર્યગીત સ્પર્ધા, ધ્વજ વંદન સહીતના કાર્યક્રમો આયોજીત કરાયા છે. મશાલ સરઘસ, છાત્રા-છાત્રાઓનું સન્માનનું આયોજન કરાયુ છે. અનિલ જ્ઞાન મંદિર, સ્વસ્તિક વિદ્યાલય, પરિવર્તન સ્કુલના વિદ્યાર્થી ભાઇ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ થશે. તેમ જીવનનગર વિકાસ સમિતિની યાદીમાં જણાવાયુ છે.
ભાજપ કાર્યાલય
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ તા. ૧૫ ના સોમવારે સવારે ૮ વાગ્યે કરણપરા સ્થિત ભાજપ કાર્યાલયે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાખેલ છે. તીરંગાને સલામી આપી રાષ્ટ્રગાન કરાશે. શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.