કિરણ સોસાયટીમાં અભ્યાસની ચિંતામાં ધો. ૧૨ની છાત્રાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
રાજકોટ, તા. ૧૬ :. હરિધવા મેઈન રોડ પર કિરણ સોસાયટીમાં રહેતી ધો. ૧૨ની છાત્રાએ અભ્યાસની ચિંતામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
મળતી વિગત મુજબ હરિધવા મેઈન રોડ પર કિરણ સોસાયટીમાં રહેતી અને ધોરણ ૧૨માં અભ્યાસ કરતી મહેક જીજ્ઞેશભાઈ શિયાણી (ઉ.વ. ૧૭) નામની છાત્રાએ પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો બહારથી ઘરે આવ્યા ત્યારે મહેકને લટકતી હાલતમાં જોતા તાકીદે જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા તેનુ મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ભકિતનગર પોલીસ મથકના એ.એસ.આઈ. રવિભાઈ વાંકએ તપાસ આદરી હતી. મૃતક મહેકના પિતા નોકરી કરે છે. અભ્યાસની ચિંતામાં તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા વ્યાપી રહી છે.