રૈયાધાર મફતીયાપરામાં રાજસ્થાનના રાજુ ભાટીનો ગળાફાંસો ખાઇ આપઘાત
પત્ની બહારથી આવી ત્યારે પતિને લટકતો જોઇ દેકારો મચાવ્યો : કારણ જાણવા તપાસ
રાજકોટ તા. ૧૬ : રૈયાધાર મફતીયાપરામાં રહેતા રાજસ્થાની યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ રૈયાધાર મફતીયાપરામાં રહેતા રાજુ જગદીશભાઇ ભાટી (ઉ.૩૫) ગઇકાલે પોતાના ઘરે પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્ની બહારથી ઘરે આવતા પતિને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા બાદ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. સાજીદભાઇ તથા રાઇટર અનુજભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
મૃતક રાજુ બે ભાઇમાં મોટો હતો. તેના પરિવારજનો રાજસ્થાનમાં રહે છે. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેણે કયાં કારણોસર પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.