રાજકોટ જિલ્લાના ગામોમાં રસીકરણ વખતે ગેરહાજરી બદલ વીસેક તલાટીઓને નોટીસ
રાજકોટ તા. ૧૬ : જિલ્લાના વિવિધ ગામોમાં કોરોનો રસીકરણના કેમ્પ વખતે હાજર રહેવાની ફરજ છતાં ગેરહાજર રહેવા બદલ રાજકોટ, ઉપલેટા, ધોરાજી, કંડોરણા પંથકના ૨૦ જેટલા તલાટીઓને ડી.ડી.ઓ. શ્રી દેવ ચૌધરીએ શોકોઝ નોટીસ ફટકારી બે દિવસમાં ખુલાસો માંગ્યો છે. નોટીસ મેળવનારા મોટાભાગના તલાટીઓએ પોતાને કેમ્પની જાણકારી ન હોવાથી અથવા અન્યત્ર અનિવાર્ય કામ હોવાથી ગેરહાજર રહ્યાનો બચાવ કર્યો છે.
કોરોનાની રસી મૂકાવવા માટે લોકોને રસીકરણ કેન્દ્ર સુધી લાવવા સહિતની વ્યવસ્થામાં તલાટીની ભૂમિકા મહત્વની રહે છે. તલાટીની ગેરહાજરીના કારણે રસીકરણ કામગીરી ધીમી પડી શકે છે. આ ગંભીરતાને ધ્યાને લઇને નોટીસ અપાયેલ છે. તલાટીઓ ભવિષ્યમાં આવી ભૂલ, બેદરકારી કે અજ્ઞાનતાનું પુનરાવર્તન કરે તો કડક પગલા લેવાનો ડી.ડી.ઓ.નો મૂડ છે.