રાજકોટ
News of Wednesday, 17th February 2021

રાજકોટની જલ્પાને જુનાગઢના પ્રેમ સાથે લવ થયો, મેરેજ કર્યા...બે માસમાં છુટુ થયું: પછી પણ ત્રાસ અપાતાં જીવ દીધો

રાજકોટની રામ સોસાયટીનો બનાવઃ યુવતિએ ગળાફાંસો ખાઇ લીધોઃ પરિવારજનોના આક્ષેપો અંગે તપાસ

રાજકોટ તા. ૧૭: દોઢ વર્ષ પહેલા જુનાગઢના યુવાન સાથે લવમેરેજ કરનાર રાજકોટની વાળંદ યુવતિને લગ્નના બે માસ બાદ ત્રાસ શરૂ થઇ જતાં છુટાછેડા લઇ લીધા બાદ તેણી રાજકોટ માવતરે રહેતી હતી. અહિ તેણીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. છુટાછેડા થઇ ગયા બાદ પણ પૂર્વ પતિ ફોન કરી મળવા આવવાનું કહી સતત હેરાન કરતો હોઇ તેણીએ આ પગલુ ભર્યાનો આક્ષેપ થતાં પોલીસે લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે.

રણછોડદાસ બાપુના આશ્રમ પાછળ રામ પાર્ક-૧માં માવતર સાથે રહેતી જલ્પાબેન રમેશભાઇ ભટ્ટી (ઉ.વ.૨૩)એ સાંજે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના વી. એસ. નિનામાએ જાણ કરતાં બી-ડિવીઝનના એએસઆઇ જે. એલ. બાળા અને રાજાભાઇ ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ જલ્પાબેને દોઢ વર્ષ પહેલા જુનાગઢના જવાહર રોડ પર રહેતાં કુંભાર યુવાન પ્રેમ લાઠીયા સાથે લવમેરેજ કર્યા હતાં. પરંતુ આ લગ્ન બે માસ જ ચાલ્યા હતાં. એ પછી ત્રાસ શરૂ થઇ જતાં તેણીએ છુટાછેડા લીધા હતાં અને માવતરે રહેતી હતી. છુટાછેડા બાદ પણ પૂર્વ પતિ ધરાર મળવાનું કહી ધરાર સંબંધ રાખવા હેરાન કરતો હતો. ગઇકાલે આ બાબતે પોલીસ ફરિયાદ કરવા જવાનું હોઇ ભાઇએ બહેન જલ્પાને ફોન કરી તૈયાર રહેવાનું કહ્યુંહતું. એ પછી તે ઘરે પહોંચ્યો ત્યાં તેણી લટકતી જોવા મળી હતી. જલ્પાબેનના પિતા વાળંદ કામ કરે છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:04 am IST)