રાજકોટ
News of Saturday, 17th April 2021

રાજકોટની પ્રજાને કોરોના કહેર વચ્ચે રઝળતી મુકનાર ધારાસભ્યો કયાં છે ? : કોંગ્રેસના ધરણા

સિવિલ હોસ્પિટલમાં જગ્યા નથી - તબીબી સ્ટાફ નથી : સાધનો નથી ત્યારે ધારાસભ્યોએ એ/સી ચેમ્બરો છોડી હોસ્પીટલમાં પડાવ નાખવો જોઇએ : રણજીત મુંધવા-ભાવેશ પટેલ-ગોપાલ અનડકટ- ધનુભા જાડેજાનાં આક્ષેપો

કોંગ્રેસના આગેવાનો રણજીત-મુંધવા, ભાવેશ પટેલ ગોપાલ અનડકટ- ધનુભા જાડેજા અને આજે સીવીલ હોસ્પિટલમાં કોવિડ દર્દીઓને પડતી મુશ્કેલી નિવારવાની માંગ સાથે સીવીલ હોસ્પિટલ ખાતે ધરણા કર્યા તે વખતની તસ્વીર. 

રાજકોટ,તા. ૧૬ : રાજ્યભરમાં કોરોનાની બીજી લહેર વચ્ચે લોકો ટપોટપ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે ત્યારે લોકોના કિંમતી મત મેળવી, એસી ચેમ્બરમાં બેસી ગયેલા શાસક પક્ષના ધારાસભ્યો એસી ચેમ્બરમાંથી બહાર નીકળી લોકોની વ્યથા સાંભળે અને જરૂરિયાત મુજબની સાધન સામગ્રીજેવી કે બેડ, ઓકસીઝન, તબીબી સ્ટાફ વગેરે ઉપલબ્ધ કરાવવા જહેમત ઉઠાવે તેવા આક્ષેપ સાથે આજે કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ધરણાં યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ અંગે કોંગી આગેવાનોએ નિવેદનમાં જણાવ્યું છે કે રાજકોટમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે દરરોજ વધતા કેસો અને વધતા મૃત્યુદર સામે તંત્ર પણ નિષ્ફળ સાબીત થયું છે પરંતુ આ સ્થિતિનું નિર્માણ માત્ર ચૂંટાઈને એસી ચેમ્બરમાં બેસી ગયેલા ધારાસભ્યોના કારણે જ થયું છે તેવો સ્પષ્ટ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે રાજકોટમાં દરરોજ વધતા કેસો સામે હોસ્પિટલ અને બેડની પૂરતી સુવિધા નહિ હોવાથી દર્દીઓ સારવારના અભાવે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે તો બીજી તરફ પ્રજાના કિંમતી મત મેળવીને ચૂંટાયેલા ધારાસભ્યોએ એસી ચેમ્બરની બહાર પણ નીકળતા નથી ત્યારે આ કહેવાતા પ્રજાના સેવકોને અત્યારે વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને એસી ચેમ્બર અને પોતાનું ઘર તેમજ વૈભવી લાઈફ સ્ટાઇલ છોડીને સિવિલ હોસ્પિટલમાં પડાવ નાખવો જોઇએ અને દર્દીઓને એકપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું દયાન રાખવું જોઈએ. સિવિલ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલમાં હાલ તમામ બેડ ફૂલ થઇ ગયા છે દર્દીઓનો ધસારો એટલો છે કે કોવીડ હોસ્પિટલમાં પૂરતો તબીબી સ્ટાફ પણ નહિ હોવાથી તબીબો ઉપર પણ કામનું ભારણ વધી રહ્યું છે બીજી તરફ ઓકસીઝનની પણ એટલી જ ઘટ છે આવી પરિસ્થિતિમાં દરેક મુદ્દાઓનું નિરીક્ષણ કરી ખૂટતા બેડ, તબીબી સ્ટાફ, જરૂરી સાધનો, ઓકસીઝન વગેરે સુવિધાઓ તાત્કાલિક યુદ્ધના ધોરણે પુરા પાડવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે જે મતદારોએ તડકામાં લાઈનમાં ઉભા રહીને તમને મત આપીને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે તે ધારાસભ્યોએ મતદારોનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે અને જો લોકોની સેવા કરવામાં રસ ન હોય તો રાજીનામુ આપી દેવાની જરૂર છે તેવો આક્ષેપ પણ કોંગ્રેસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ધરણાં યોજી કરવામાં આવ્યો છે. આ ધરણા ગોપાલ અનડકટ ધનૂભા જાડેજા રણજીત મુંધવા ભાવેશ પટેલ વગેરે દ્વારા કરાયા હતા.

(3:09 pm IST)