રાજકોટ
News of Monday, 17th May 2021

વાવાઝોડા સામે કલેકટર તંત્ર તૈયાર : લોકો ભય ન રાખે : તમામ ગામડાઓ માટે વ્યવસ્થા : હોસ્પિટલોને ઓકસીજન પૂરવઠો મળી રહે તે માટે ગ્રીન કોરી ડોર

તમામ સ્ટેટ - નેશનલ હાઇવે કલીયર રાખવા પોલીસ - વન વિભાગને આદેશો : રેવન્યુ સહિત તમામની રજા રદ્દ : ૩૪ ગામોના ૨ હજાર લોકોને ખસેડાયા : લોકોને ઘરમાં રહેવા અપીલ : ૯૧ હોસ્પિટલમાં જનરેટર સેટ મૂકી દેવાયા

રાજકોટ  તા. ૧૭ : સૌરાષ્ટ્રના વિસ્તારમાં સંભવિત આવનાર વાવાઝોડા સંદર્ભે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા રાજકોટ વહિવટીતંત્ર સુસજ્જ છે આથી લોકોએ આ બાબતે ભય રાખવાની જરૂર નથી તેમ આશ્વસ્ત કરતા જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને જણાવ્યુ હતું.

વાવાઝોડાનો સામનો કરવા રાજકોટ વહિવટીતંત્ર દ્વારા કરાયેલ તમામ તૈયારીઓ ની વિગતો આપતા કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે તમામ તાલુકાઓમાં લાયઝન અધિકારીઓને ફરજ સોંપાય ગયેલ છે. હાલ કોરોના મહામારીનો સમય ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલોને ઓકસીજન સપ્લાયનો પુરવઠો સતત મળી રહે તેમજ કોઇ જ મુશ્કેલી ન પડે તે માટેની ખાસ વ્યવસ્થા કરાઇ છે. ઓકસીજન પ્લાન્ટમાંથી ઓકસીજનના પુરવઠાનું પરિવહન કરતા ટેન્કરોને પણ અડચણો ન આવે તે માટે ખાસ ગ્રીન કોરીડોરની વ્યવસ્થા કરાઇ છે. જેમાં જિલ્લાના હાઇ-વે, માર્ગ અને મકાન (રાજય તથા પંચાયત) પોલીસ અને વનવિભાગને રોડ કલિયર રાખવા સુચીત કરાયા છે. આ ઉપરાંત તમામ ૭૮ શહેરી અને ૧૩ ગ્રામ્ય કોવીડ હોસ્પીટલમાં વીજપુરવઠો  જળવાઇ રહે તે માટે ખાસ જનરેટરો પણ ઉપલબ્ધ કરાવાયા છે.

તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામુહિક આરોગ્ય કેન્દ્રો પર દવાઓનો પુરતો સ્ટોક ઉપલબ્ધ કરાવાયો છે. ગ્રામ્ય વિસ્તારના ૩૪ જેટલા ગામોના કુલ ૨૦૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલુ કરી દેવાઇ છે. સગર્ભા મહિલાઓને પણ સલામત સ્થળે શીફટ કરવા સુચના અપાઇ છે. 

આ તકે તેઓએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરતા જણાવ્યું હતું કે 'સાવચેતી એ જ સલામતી'  સૌ લોકો ઘરમાંજ રહે અને સલામત રહે તે જરૂરી છે. શહેર ના જુદાજૂદા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરાયેલા હોર્ડીગ્ઝને કારણે કોઇ અકસ્માત ન સર્જાય તે માટે હાઇ-વે, માર્ગ અને મકાન (રાજય તથા પંચાયત)  તથા નગરપાલીકાઓને સુચના અપાઇ છે. તેઓએ ખાસ કરીને વાડી વિસ્તારમાં વસતા લોકો ગામમાં સલામત સ્થળે આશ્રય લેવા અપીલ કરી હતી. ભારે વરસાદની શકયતાઓને લઇને નદી ના પટ કે નીચાણ વાળા પુલો પરથી અવરજવર ન કરવા તાકીદ કરી હતી. તેઓએ ઉમેર્યું હતુ રાજકોટની આસપાસના જિલ્લાને પણ જરૂર પડયે સહાયતા કરવા જિલ્લા વહિવટી તંત્ર તૈયાર છે.

(10:34 am IST)