સ્વયંભુ રામનાથ મહાદેવની સોમવારે ૯૯મી વર્ણાંગી
રાજકોટમાં પ્લેગની મહામારી ફેલાયેલ એ સમયે સ્વ. લાખાજીરાજબાપુ દ્વારા સ્વયંભૂ રામનાથ મહાદેવની પ્રથમ વર્ણાંગી નીકળી હતી :રાસની રમઝટ, બેન્ડની સુરાવલી સાથે દાદા પ્રજાને દર્શન આપવા નિકળશેઃ રામનાથપરા મેઇન રોડ ખાતેથી પ્રારંભ, રામનાથ મહાદેવના સ્થાનકે સમાપનઃ મહંત શાંતિગીરી ગોસ્વામી
રાજકોટ, તા.૧૬ શહેરમાં આજી નદીની પહેલા સ્વયંભુ તરીકે પ્રગટ થયેલા અને ''રામનાથ''મહાદેવ તરીકે વિખ્યાત થયેલ એ સ્વયંભૂ રામનાથ મહાદેવની ૯૯મી વર્ણાંગી આવતા સોમવારે-અજા એકાદશી-અમૃતસિધ્ધયોગ શિવને પ્રિય એવા આદ્રા નક્ષત્ર તા. ૨૨ને સોમવારે નિકળશે.
તા.૨૨, સોમવારે બપોરે સ્વયંભૂ રામનાથ મહાદેવનું ષોડસોપચાર પૂજન-આરતી થશે. અને ત્યારબાદ રાસની રમઝટ, બેન્ડ વાજાની સુરાવલી સાથે રંગે ચંગે શહેર માર્ગ ઉપર રાજકોટની પ્રજાને દર્શન આપવા નિકળશે.
આ વર્ણાંગી શા માટે નિકળે છે એની આછેરી ઝલક
રાજકોટના સ્વ.પ્રજાવત્સલ રાજવીશ્રી લાખાજીરાજબાપુએ રાજકોટની પ્રજા જયારે પ્લેગ (કોરોના કરતા ગંભીર) માં બિમારીમાં સપડાયેલ, આ પ્લેગ ભયાનક હતો માણસને હૃદય પિગળી ઉઠયુ અને સ્વયંભુ રામનાથ મહાદેવના સાનિધ્યમાં આવીને અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરીકે હે સ્વયંભૂ રામનાથ મહાદેવ મારી રૈયત (પ્રજા) ઉપરનો આ મહામારી -ભયંકર રોગને દૂર કરો, હું તમારી વર્ણાગી રાજકોટ શહેરમાં ફેરવીશ''
ચમત્કારઃ રાજવીની પ્રાર્થના સાંભળીને સ્વયંભૂ રામનાથ મહાદેવની કૃપા દૃષ્ટિ થઇ અને રાજકોટની પ્રજામાંથી આ ભયાનક રોગ સંપૂર્ણ પણે નાબૂદ થયો.
અને સ્વ. લાખાજીરાજબાપુએ એ સમયે સ્વયંભૂ રામનાથ મહાદેવની પ્રથમવાર વર્ણાગી કાઢેલ.
શ્રાવણ માસના કોઇ એક સોમવારે આજે પણ સ્વયંભૂ રામનાથ મહાદેવની વર્ણાગી નિકળે છે.
આગામી સોમવાર તા.૨૨ એકાદશી, અમૃતસિધ્ધ યોગ, શિવ પ્રિય આદ્રા નક્ષત્રમાં નિકળશે એટલે આ ૯૯મી વણાંર્ગીનું મહત્વ ઘણુ વધી જાય છે.
વર્ણાંગી કયા કયા રાજમાર્ગો ઉપરથી પસાર થશે. એ પહેલા સ્વયંભૂ રામનાથ મહાદેવનું ૩.૩૦ કલાકે ષોડસોપચાર,પૂજન, અર્ચન, આરતી બાદ બપોરે ૪ કલાકે વર્ણાંગી નિકળશે.
રામનાથ પરા મેઇન રોડ, કોઠારીયા નાકા, દરબાર ગઢ રોડ, સોની બજાર, પરા બઝાર,ધમેન્દ્રરોડ, સાંગણવા ચોક, પ્રહલાદ રોડ, કરણપરા ચોક, કિશોરસિંહજી રોડ, જયરાજ પ્લોટ, હાથીખાના રોડ, થઇને રામનાથ મહાદેવના સ્થાનેકે પરત ફરશે.
ધર્મપ્રમી જનતાને આ વર્ણાંગીમાં જોડાવવા મહંત શાંતીગીરી ગોસ્વામીએ અનુરોધ કરેલ છે. સાથો સાથ-કોરોના રાજકોટમાં વધતા જતા કેસને અનુલક્ષીને માસ્ક પહેરીને આવવા પણ મહંતશ્રીએ અનુરોધ કરેલ છે. તેમ શ્રી પ્રમોદ વોરા મો. ૯૯૨૪૧૨૫૯૮૭ ની યાદીમાં જણાવાયુ છે.