નવલનગરના પાનના ધંધાર્થી અનંતભાઇ પ્રજાપતિએ આર્થિક ભીંસને લીધે ઝેર પીધું
પાળ રોડ વગડ ચોકડીએ પગલુ ભર્યુઃ લોકડાઉન બાદ ધંધો ચાલતો નહોતો
રાજકોટ તા. ૧૭: નવલનગરમાં રહેતાં અને પ્રહલાદ પ્લોટમાં પાનની કેબીન ચલાવતાં અનંતભાઇ મગનભાઇ કટકીયા (પ્રજાપતિ) (ઉ.વ.૪૫)એ સાંજે પાંચેક વાગ્યે ઘરેથી એકટીવા લઇ નીકળ્યા બાદ મવડી પાળ રોડ પર વગડ ચોકડી પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
અનંતભાઇએ ઝેર પી લેતાં ત્યાંથી પસાર થયેલા રાહદારીએ તેમના મોબાઇલ ફોનમાંથી સગાને જાણ કરી હતી. અનંતભાઇ પાંચ ભાઇમાં બીજા છે અને સંતાનમાં બે પુત્રી છે. પરિવારજનોના કહેવા મુજબ લોકડાઉન પછી ધંધામાં સતત મંદી આવી ગઇ હોઇ તે કારણે આર્થિક ભીંસ ઉભી થઇ હોવાથી કંટાળી જઇ તેમણે આ પગલુ ભર્યુ હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. અનંતભાઇ બેભાન હોઇ તે ભાનમાં આવ્યા બાદ પોલીસ નિવેદન નોંધશે. હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણ વધુ તપાસ કરે છે.