રાજકોટ કલેકટર કચેરીના પટાંગણમાં પ્રધાનમંત્રીના જન્મદિને કલેક્ટર સહિતના અધિકારીઓના હસ્તે વૃક્ષારોપણ
ફોરેસ્ટ વિભાગ અને સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વૃક્ષોનું જતન કરાશે
રાજકોટ :વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે કલેકટર કચેરી રાજકોટ ખાતે આજરોજ તારીખ ૧૭-૦૯-૨૦૨૧ના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર તેમજ સામાજિક વનીકરણ રેન્જ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, પ્રાદેશિક કમિશ્નર વરુણ બરનવાલ, નગરપાલિકાઓ,નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા પૂરવઠા અધિકારી, પ્રાંત અધિકાર,રાજકોટ શહેર-૧ તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપસ્થિત રહયા હતા.
સામાજીક વનીકરણ વિભાગ રાજકોટના આર.એફ.ઓ બી.ઓ. વાળાએ જણાવ્યું હતું કે કલેક્ટરના સહયોગથી રાજકોટ કલેકટર કચેરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે જેમાં દેશી વૃક્ષો વાવવામાં આવ્યા છે. સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા વૃક્ષોની ઉછેરની રચનાત્મક પ્રવૃત્તિ કરવામાં આવે છે જે અંતર્ગત રાજકોટ કલેકટર કચેરી ખાતે પણ ત્રણ વર્ષ સુધી વૃક્ષોનું જતન અને ઉછેર કરવામાં આવશે.