અમેરિકાના ભારતીય હરિભકત દ્વારા કુંડળધામ મંદિરને ૭ ઓકિસજન મશીનની ભેટ
રાજકોટ, તા. ૧૮ :. અમેરિકા સ્થિત ભારતીય હરિભકત દ્વારા કુંડળધામ (બોટાદ) અને કારેલીબાગ (વડોદરા) સ્વામિનારાયણ મંદિરમાં કોરોનાના દર્દીઓ માટે ચાલતી સેવાકીય પ્રવૃતિથી ખુશ થઈને સંસ્થાને ઓકિસજન ઉત્પન્ન કરવામાં ઉપયોગી ૭ મશીનની ભેટ આપી છે. સ્વામીજીએ તેમની સેવા-ભાવનાને બીરદાવી આ ઓકિસજન કોન્સ્ટ્રેટરનો જરૂરીયાતમંદો માટે ઉપયોગ કરવાની તત્પરતા બતાવી છે તેમ શ્રી અલૌકિક સ્વામી જણાવે છે.
શહેરો અને ગામડાઓમાં ઓકિસજનની કમીને કારણે લોકોની પીડા જોઈને સતીષભાઈ ચંદુભાઈ પટેલ તથા અમેરિકા નિવાસી મૂળ નાર ગામના ડો. અરવિંદભાઈ સી. પટેલને કોરોના મહામારીમાં પોતાના દેશના લોકોને મદદ કરવાની ભાવના થઈ. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ અને કૌટુંબિક સંસ્કાર અને સદભાવનાને કારણે મિત્ર ડો. અરવિંદભાઈના કહેવાથી સતીશભાઈ ચંદુભાઈ પટેલે શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામને સાત ઓકસીજન કોન્સ્ટ્રેટર મશીન ભેટ આપ્યા. કોરોના કે અન્ય રોગોના કારણે ઓકસીજનની જરૂરીયાતવાળા દર્દીઓના લાભાર્થે સતીશભાઈના પિતાશ્રી ચંદુભાઈ પટેલના હસ્તે શ્રી સ્વામિનારાયણ મંદિર કારેલીબાગ, વડોદરા તથા કુંડળધામમાં આ મશીનો ભેટ અપાયા.