રાજકોટ જિલ્લામાં ઉત્તરાયણથી આજ દિન સુધી ૮૨૦ પંખીઓને બચાવાયા
પંખીઓને બચાવવા ડ્રોનનો ઉપયોગઃચાર પંખીઓને બચાવાયા
રાજકોટ:મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પતંગ અને તેના દોરાથી ઘાયલ થતા પંખીઓને બચાવવા માટે રાજયસરકાર દ્વારા રાજયભરમાં ‘‘કરૂણા અભિયાન’’ કાર્યરત કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ જિલ્લામાં ઉત્તરાયણથી આજ દિન સુધી કુલ ૮૨૦ પંખીઓને પશુપાલન ખાતાની ૧૯૬૨ એમ્બ્યુલન્સ તથા કરૂણા ફાઉન્ડેશન દ્વારા તાત્કાલિક સારવાર આપીને બચાવાયા છે. તેમજ ૮૨ પંખીઓના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ ૮૦૮ જેટલા કબુતરોને ઇજા થઇ હતી. જયારે કે એક ચકલી, એક પોપટ, ચાર સમડી, બે ધુવડ, એક ઇકોટ સહિતના પંખીઓ ઇજા પામ્યા હતા.
આ ઉપરાંત, કરૂણા અભિયાન અન્વયે સંક્રાતના બીજા દિવસે ડ્રોનનો ઉપયોગ કરી ૬૦ થી ૭૦ ફુટની ઉંચાઇ કે જયાં માનવીય પ્રયાસો દ્વારા નિસરણીથી કે ફાયર બ્રીગ્રેડની મદદથી ન પહોંચી શકાયએ તેવા ઝાડવા સહિતની જગ્યાઓથી ચાર પંખીઓને બચાવાયા હતા. આમ, આધુનિક ટેકનીકનો ઉપયોગ પંખીઓના બચાવ માટે પણ કરાયો હતો.
કરૂણા અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં ૨૦ થી વધુ પશુ દવાખાનાઓમાં ૩૦ થી વધુ વેટરનરી ડોકટરોની ટીમ દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. તા.૧૦ થી શરૂ થયેલુ આ અભિયાન તા. ૨૦ જાન્યુઆરી સુધી ચાલશે. વન વિભાગ દ્વારા સવારના ૭ થી ૬ કલાક સુધી તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાોયો છે. તેમજ ૨૬ જેટલા સારવાર કેન્દ્રો ઉભા કરાયા છે.
સંક્રાતના દસ દિવસ જ નહી પરંતુ ૩૬૫ દિવસ આ પંખી બચાવનું અભિયાન રાજકોટ જિલ્લામાં પશુપાલન ખાતા તથા કરૂણા અભિયાન દ્વારા ચાલે છે તે ઘાયલ પંખીઓ માટે કાર્યરત છે.
ઘવાયેલા પંખીઓે અદ્યતન સારવાર અને ઓપરેશન કરવામાં આવે છે. જેમાં પાંચ કરૂણા એમ્બ્યુલન્સ અને મહાનગરપાલિકા તેમજ પશુપાલન વિભાગના વાહનોમાં પશુ દવાખાના સુધી લઇ જવાની વ્યવસ્થા છે. આ અભિયાન જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા પશુપાલન અધિકારી ડો. ખાનપરા, ડો.વસિયાણી, કરૂણા ફાઉન્ડેશનના પ્રતીકભાઇ સંઘાણી, મિતલભાઇ ખેતાણી સહિતના અનેક જીવદયા પ્રેમીઓ કાર્યરત છે.