રાજકોટ જીલ્લાના ૨૩૪ ગામોની ૧૫૦૦ હેકટર જમીનની સર્વેની કામગીરી પૂર્ણ : ડ્રોનથી સર્વે : ઠરાવ-પ્રોપર્ટી કાર્ડ કાઢી અપાયા
દરેક ગામ માટે GTS આધારિત નકશાઃ ગામડાના લોકોને મકાનનું ટાઇટલ કલીયર મળશે
ટેક્નોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કામગીરી વધુ અસરકારક બને અને સાથે દેશના સામાન્ય માણસોની સુખાકારી વધે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આગવા અભિગમ સાથે અનેક પ્રોજેક્ટ-યોજના અમલી બનાવી છે. આવી જ એક યોજના એટલે ‘સ્વામિત્વ'(SVAMITVA -સર્વે ઓફ વિલેજીસ આબાદી એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઈઝ ટેક્નોલોજી ઈન વિલેજ એરિયાઝ). જેમાં ગામડામાં ડ્રોનથી મિલકતોનું સર્વેક્ષણ કરીને, ગામલોકોના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવે છે.
ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘સ્વામિત્વ' યોજનાનો પ્રભાવશાળી રીતે અમલ થઈ રહ્યો છે. આ યોજનાની અમલવારીમાં રાજકોટ જિલ્લો અગ્રેસર રહીને કામ કરી રહ્યો છે. જમીન દફતરના નાયબ નિયામકશ્રી રાજેશ કે. ગાંધી તથા જમીન દફતરના જિલ્લા નિરિક્ષકશ્રી ભાવેશ ગાંભવાના નિરીક્ષણ હેઠળ હાલ જિલ્લાના વિવિધ ગામોમાં ડ્રોનથી સર્વે-માપણીની કામગીરી ગતિમાં છે.
શ્રી ભાવેશ ગાંભવાના જણાવ્યા મુજબ, ‘સ્વામિત્વ'યોજના અંતર્ગત રાજકોટ જિલ્લામાં ડ્રોનથી ૨૩૪ ગામોમાં ૧૫૦૦ હેક્ટર જમીનની સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. હવે ઠરાવો લખવાની તેમજ પ્રોપર્ટી કાર્ડ બનાવવા સંબંધિત કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત બાકીનાં ગામોમાં પણ ડ્રોનથી સર્વેક્ષણ-માપણીની કામગીરી ચાલી રહી છે.
રાજકોટ તાલુકના ૭૩, વિંછિયા તાલુકાના ૪૨, જસદણના ૪૯ તેમજ ધોરાજીના ૨૬ ગામોમાં ડ્રોનથી સર્વેક્ષણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જયારે ગોંડલ તાલુકાના ૬૮ ગામોમાં ક્રમશઃ આ કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં જેતપુરના ૪૨, ઉપલેટાના ૪૬, જામકંડોરણાના ૪૫, કોટડાસાંગાણીના ૩૫ તેમજ લોધિકાના ૩૪ ગામોમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરાશે.
નોંધનીય છે કે, નવ રાજયોમાં પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા મળ્યા બાદ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ, પંચાયતી રાજના દિવસે ‘સ્વામિત્વ'યોજના લોન્ચ કરી હતી. આ આ એક કેન્દ્રીય યોજના છે, જે અંતર્ગત તમામ ગ્રામીણ વિસ્તારોમાં ડ્રોનનો ઉપયોગ કરીને સર્વે કરવામાં આવે છે. આ સાથે, દરેક ગામ માટે જીઆઈએસ આધારિત નકશા તૈયાર કરવામાં આવે છે. આ સરવે થકી ગ્રામીણ આયોજન માટે જમીન રેકોર્ડ સચોટ બનાવવા, મિલકત વેરા નક્કી કરવા, સર્વે ઇન્ફ્રાસ્ટ્રકચર અને જી.આઈ.એસ. નકશા બનતા અન્ય કોઇ પણ સરકારી વિભાગ તેમના ઉપયોગમાં પણ લઈ શકશે. ગામના સંપત્તિ વિવાદ અને કાનૂની કેસોમાં ઘટાડો થશે.
બિલકુલ ફ્રીમાં થાય છે સર્વેઃ પ્રોપર્ટી કાર્ડ માટે પણ કોઈ ચાર્જ નહીં
- જમીનની સર્વેક્ષણ-માપણી માટે લોકો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસુલ કરવામાં આવતો નથી.
- આ યોજના અંતર્ગત લોકોને પ્રોપર્ટીકાર્ડ કોઈ ફી લીધા વિના આપવામાં આવે છે.
સ્વામિત્વ યોજનાના ફાયદા
- ગામના રહેવાસીઓને તેમની પ્રોપર્ટીના કાર્ડ મળશે.
- પોતાની માલિકીના મકાનનું ટાઇટલ ક્લીયર થયેલું મળશે.
- તે મકાન પર કોઈપણ બેંકમાંથી લોન મળી શકશે.
- મકાનનો કાયદેસરનો વેચાણ દસ્તાવેજ કરી શકાશે તથા અન્યને તબદીલ કરી શકાશે.
માપણીના ફાયદા
- માપણી અતિ આધુનિક ડ્રોનથી થાય છે તથા ૧ થી પાંચ સેન્ટિમીટર સુધીની ચોક્કસાઈ મળે છે.
- આ પ્રોજેક્ટ સર્વે ઓફ ઇન્ડિયા કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા થાય છે.
- અન્ય તમામ રાજયોમાં પણ કામગીરી ચાલુ છે તથા ઘણા રાજયોમાં સફળતાપૂર્વક પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યા છે.