ચિંતામણી જામઃ ભાવિકો ભાવવિભોરઃ કાલે મુંબઇ તરફ વિહારયાત્રા
વિરાણી પૌષધશાળામાં પૂ. ધીરગુરુદેવના જન્મ દિને
રાજકોટ તા. ૧૯: શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ-વિરાણી પૌષધશાળાના આંગણે પૂ. શ્રી ધીર ગુરુદેવના જન્મદિને તપ-જપ ની આરાધનામાં ભાવિકો ભાવવિભોર બન્યા હતા.
આ પ્રસંગે બોટાદ સંપ્રદાયના યુવા પ્રેરકમ પૂ. જયેશમુનિ મ.સા.કો. સુપાર્શ્વમુનિ મ.સા. તથા પ્રવર્તિની પૂ. વનિતાબાઇ મ.સ. આદિ પરિવાર, પૂ. નીરૂબાઇ મ.સ., પૂ. ઉષા-વીણાજી મ.સ., પૂ. ભારતીજી મ.સ., પૂ. સ્મિતાજી મ.સ., પૂ. સુશીલાજી મ.સ., પૂ. નંદા સુનંદાજી મ.સ., પૂ. નંદાજી મ.સ., આદિ.ના બિરાજવાથી ધર્મોલ્લાસ છવાયો હતો.
પૂ. સુપાર્શ્વમુનિજીએ શાસનના કાર્યોની અનુમોદના અભિવંદના કરેલ. પૂ. સ્મિતાજી મ.સ. એ શ્રુતવૈભવ, વ્યવહાર વૈભવ, વાણી વૈભવ, વૈયાવચ્ચ વૈભવ, વ્યકિતત્વ વૈભવનું વર્ણન કરી ગુરુદેવના જન્મ દિને શતાયુ, દીઘાર્યુની ભાવના પ્રગટ કરેલ. હરેશભાઇ વોરાએ ગુરુદેવની ઉદારતા-વિશાળતાની અભિવંદના કરી પૂ. જયેશમુનિ મ.સા.ને ચાતુર્માસની વિનંતિ કરેલ. સી. એમ. શેઠએ વૈયાવચ્ચની અનુમોદના કરેલ.
જયારે બપોરે ૩ કલાકે જૈનશાળાના સ્વાગત ગીત બાદ ડો. ચંદ્રાબેન વારીયા પ્રેરિત ચિંતામણી જાપથી દિવ્ય વાતારણ સર્જાયું હતું. પૂ. ગુરુદેવે કહેલ કે મંત્ર જાપથી મન સ્થિત બન્યા વિના રહેશે નહિં. સંકલ્પ કરીને જાપ કરતા રહો. પૂ. બંસરીજી મ.સ., પૂ. મુકિતશીલાજી મ.સ., એ નવકાર ગીતની રમઝટ બોલાવી હતી.
ડો. ચંદ્રાબેન વારીયા, ગૌતમ એકાસનના લાભાર્થી પરિવારના ભારતીબેન ભરતભાઇ મહેતા, પૌષધશાળા પરિસર ટાઇલ્સના લાભાર્થી રમેશભાઇ વિરાણી રાજેશભાઇ જયંતિલાલ વિરાણી, શૈલેશભાઇ વિરાણીનું સન્માન કરાયું હતું. છગનલાલ શામજી વિરાણી પરિવારે ૬પ જીવોને અભયદાનનો લાભ લીધેલ.
શ્રી સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ રાજકોટ સંચાલિત મારૂતિનગરમાં સરસ્વતી શિશુ મંદિરના નવનિર્માણમાં શશીકાંત જી. બદાણી તરફથી ર કરોડ રપ લાખના માતબર દાનની ઘોષણાથી અહો દાનં'ના જયનાદે હોલ ગુંજી ઉઠયો હતો. ચેરમેન અપૂર્વ મણીયાર અને મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઇ જાનીએ ગુરુદેવના પરમાર્થ કાર્યની અભિવંદના કરી ઋણ સ્વીકાર કરેલ. દિનેશભાઇ દોશી, કમલેશ મોદી, બકુલેશ રૂપાણી, સતીશ બાટવીયા વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.