કિન્નાખોરીથી આક્ષેપો થાય છે : સરકારે નિમણૂંકને માન્યતા આપી છે : રાજેશ કાલરીયા
પ્રો. ડોબરીયાને મારી કોલેજમાં હાજર ન કર્યા તેનો આનંદ છે : કાલરીયા આક્રમક
રાજકોટ તા. ૧૯ : કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સીપાલ રાજેશ કાલરીયા સામે પ્રો. રતિલાલ ડોબરીયાએ કરેલા આક્ષેપોને નકારી કાઢયા છે.
કણસાગરા મહિલા કોલેજના પ્રિન્સીપાલ રાજેશભાઇ કાલરિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી ઉચ્ચશિક્ષણ તેમજ પ્રિન્સીપાલ તરીકેની લાંબી કારકિર્દીમાં નેક દ્વારા ખૂબ બહુમાન મળ્યું છે.પ્રો. રતિલાલ ડોબરીયાને મારી કોલેજમાં ફાજલ તરીકે હાજર ન કર્યા તેનો મને આનંદ છે.
સ્પષ્ટ વકતા અને સીન્ડીકેટ સભ્ય પ્રો. રાજેશ કાલરીયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, મારી સામેના આક્ષેપો કિન્નાખોરીથી કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિર્સિટીના સર્વોચ્ચ સત્તામંડળ સીન્ડીકેટે ઠરાવ કર્યો છે. રાજ્ય સરકારે મારી પ્રિન્સીપાલ તરીકેની માન્યતાને યોગ્ય ગણાવી માન્ય કરેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રાજકારણમાં રાગદ્વેષથી આક્ષેપબાજી થતી હોય છે. તેવી રીતે મારી સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અગાઉ પણ આવા આક્ષેપો થયા હતા. રાજ્ય સરકાર અને રાજભવનમાંથી પણ નિમણુંકને યોગ્ય ઠરાવવામાં આવી છે.