વાહન અકસ્માતના ગુનામાં આરોપીનો નિર્દોષ-છૂટકારો
રાજકોટ,તા. ૧૯ : બેદરકારી પૂર્વક એમ્બ્યુલન્સ ચલાવી અકસ્માત કરવાના ગુન્હામાં આરોપીનો નિર્દોષ છૂટકારો અદાલતે ફરમાવેલ હતો.
આ અંગેની વિગત એવી છે કે ગત તા. ૧૦/૮/૧૯ના રોજ રાત્રીના સમયે ઢોલરા ગામના પાટિયા પાસે આ કામના ફરિયાદી રહીમભાઇ ઠેબા પોતાનું મોટર સાયકલ લઇને જતા હતા ત્યારે આરોપી રમેશભાઇ છગનભાઇ અજારાએ પોતાના હસ્તકની એમ્બ્યુલન્સ પુરઝડપે, બેફિકરાઇથી અને માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી ફરિયાદીને મોટર સાયકલ સહીત ઠોકરે લેતા ફરિયાદીને માથામાં, ગળાના પાછળના ભાગે તથા ખભાના ભાગે ગંભીર ઇજાઓ થયેલ હતી. જે અંગે ફરિયાદીએ પોલીસ સમક્ષ ફરિયાદએ પોલીસ સમક્ષ ફરિયાદ આપેલ હતી.
આ કેસ કોર્ટમાં ચાલવા પર આવતા આરોપીના વકીલ ગૌતમ કે.ચાવડા દ્વારા ફરિયાદીની ક્રોસ કરવામાં આવેલ. તેમજ કેસ સાબિત થતો નથી તે અંગે દલીલ કરવામાં આવેલ અને પુરાવા રજુ કરવામાં આવેલ જેથી કોર્ટ દ્વારા સદરહુ ગુન્હામાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો.
આ કેસમાં આરોપીવતી એડવોકેટ દરજ્જે ગૌતમ કે.ચાવડા, અશોક બી. ચાંડપા તથા ગીરીશ પરમાર અને હાર્દિક જીવાણી રોકાયેલ હતા.