સાંજ સુધીમાં નેકનું મૂલ્યાંકન કાર્ય સંપન્ન
આવતીકાલે નેક કમિટિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું વાસ્તવીક ચિત્ર રજૂ કરવા અહેવાલ તૈયાર કરશેઃ અનેક ક્ષતિઓ બહાર આવવાની ચર્ચા
રાજકોટ તા. ૧૯: યુજીસીની નેક કમિટિ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું મૂલ્યાંકન કાર્ય પુર જોશમાં ચાલી રહ્યું છે. નેક કમિટિના સાત સભ્યો દ્વારા આજ સાંજ સુધીમાં તમામ ભવનો અને બીલ્ડીંગ તેમજ અન્ય વિભાગોની મુલાકાતો લઇને પૂરી કરશે.
નેક પીઅર ટીમના ચેરમેન ડો. પંડીત વિદ્યાસાગર, ડો. ધર્મેન્દ્રકુમાર, ડો. પી. સુબ્રમણ્યમ, પ્રો. સંદીપ જૈન સહિત ૭ સભ્યોએ ગઇકાલે ર૦ ભવનો બાદ આજે વધુ ૯ ભવનો, વહીવટી વિભાગ, પરીક્ષા વિભાગ, લાયબ્રેરી, મેળાની ચેર સહિતના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી. તજજ્ઞોની નેક પીઅર ટીમની તપાસમાં સાયન્સના ભવનોની ખુબ પ્રભાવિત થયા છે તો અન્ય ભવનોના અધ્યાપકોની ગુણવતા અને સંશોધનોમાં રહેતી ક્ષતિઓની નોંધ લીધી છે.
નેક કમિટિ આજે સાંજે ૭ વાગ્યા સુધીમાં તમામ ર૯ ભવનોની મુલાકાત પૂર્ણ કરીને આવતીકાલે સવારની પીઅરટીમ મૂલ્યાંકન અંગેનો રીપોર્ટ તૈયાર કરશે. જે વિદાય લેતા સમયે કુલપતિને થોડોક નિર્દેશ કરીને યુજીસીમાં સોંપશે.
નેક કમિટીના મૂલ્યાંકન સમયે અધ્યાપકોને અંગ્રેજી ભાષામાં બોલતા ન આવડતું હોય નેકના સભ્યો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલસચિવ પરીક્ષા નિયામક, લીગલ વિભાગ સહિત અનેક વિભાગોમાં નિમણુંક ન થઇ હોય તેની પણ નેક કમિટિએ નોંધ લીધી છે.