મ.ન.પા. ઉનાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્ય માટે ૧૦૦ માણસોની ટીમ મોકલશે
સફાઇ કામ અને પડી ગયેલા વૃક્ષો હટાવવા ૧૦૦ સફાઇ કામદારો, ૨ જેસીબી, ૨ ડમ્પર, ૨ ટ્રી કટર અને ઓપરેટર સહીતનો કાફલો ઉના ખાતે ફરજ બજાવશે : પ્રદિપ ડવ, પુષ્કર પટેલ તથા ઉદિત અગ્રવાલની જાહેરાત
રાજકોટ,તા. ૧૯: 'તાઉતે' વાવાઝોડાની સૌથી વધુ અસર જયાં થયેલી છે તે ગામો પૈકી ઉના ખાતે ગંદકીના કારણે રોગચાળો ન પ્રસરે તે માટે સદ્યન સફાઈ ઝુંબેશ હાથ ધરવા અને રસ્તા પર પડી ગયેલા વૃક્ષો હટાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાની એક ટીમ સાધન-સામગ્રી અને વાહનો સાથે ઉના મોકલવાનો મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલનો સંયુકત ઉમદા નિર્ણય કર્યો છે.
અત્યંત તોફાની સ્વરૂપમાં ત્રાટકેલા 'તાઉતે' વાવાઝોડાએ ઉના શહેરને સારી પેઠે ધમરોળી નાખ્યું છે, આ સંજોગોમાં શહેરમાં તાત્કાલિક ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાય અને જાહેર માર્ગો પર ધરાશાયી થયેલા વૃક્ષો હટાવી વાહન વ્યવહાર રાબેતામુજબ બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના ૧૦૦ સફાઈ કર્મચારીઓ, ૨ JCB મશીન, ૨ ડમ્પર, ૨ ટ્રી કટર મશીન, ૨ ઓપરેટર સહિતની બે બસનો કાફલો ઉના મોકલવામાં આવશે, તેમ મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ સંયુકત યાદીમાં જણાવ્યું હતું.